શું મહિલા શરીર પર ટેટૂ ન બનાવે તો તે અપવિત્ર છે?
- ગીતા પાંડે
- બીબીસી ન્યૂઝ, દિલ્હી

ઇમેજ સ્રોત, WATERAID/ RONNY SEN
ગત 2000 વર્ષોથી બૈગા જાતિની મહિલાઓ પોતાના શરીર પર ટેટૂ બનાવે છે
શરીર પર ટેટૂ બનાવવા એ દેશમાં આજકાલની નવી ફૅશન છે. આ ટેટૂને યુવાનો સ્વતંત્રતાના ચિહ્ન તરીકે જુએ છે.
ઘણા યુવાનો એવા છે કે જેઓ પોતાની ઓળખ જાળવી રાખવા માટે શરીર પર ટેટૂ બનાવડાવે છે.
પણ મારા માટે શરીર પર ટેટૂ ન બનાવવાનો નિર્ણય લેવો એ વિદ્રોહ છે.
હું ટેટૂ, નાક અને કાન વિંધવવાના વિચારો સાથે મોટી થઈ. આ ટેટૂ મહિલા પર હકનો સંકેત આપે છે.
મારી મમ્મીના શરીર પર કેટલાંક ટેટૂ હતા, અને મારી દાદીમાના શરીર પર મારી મમ્મી કરતા વધારે ટેટૂ હતા.
તેઓએ મને કહ્યું કે તેમની પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો.
મારો પરિવાર ઉત્તર ભારતના રાજ્ય ઉત્તર પ્રદેશ સાથે સંબંધ ધરાવે છે.
અહીં ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ પ્રથા છે કે એક વિવાહીત મહિલાએ શરીર પર ટેટૂ બનાવવા ફરજિયાત છે.
ત્યાંના લોકો ટેટૂને ગોદનાના નામે ઓળખે છે.
ટેટૂ બનાવ્યા બાદ મહિલાના ઘા એક મહિના સુધી નથી રૂઝાતા
મારી મમ્મી મને કહે છે, "મારા પરિવારમાં મને કહેવામાં આવ્યું હતું કે જો હું શરીર પર ટેટૂ નહીં બનાવું તો મારી સાસરીમાં કોઈ મારા હાથનું પાણી પણ નહીં પીવે."
સાથે જ ઉમેરે છે કે, "ઉપરાંત મારા હાથે બનાવેલું ભોજન પણ નહીં જમે. મને લોકો અપવિત્ર અને અસ્પૃશ્ય માનશે."
મારા પિતાએ આ બધું કરવાની જરૂર નથી. કેમ કે મારી મમ્મી કહે છે કે તેઓ એક પુરુષ છે.
મારી મમ્મીના બાળ વિવાહ થયા હતા. વર્ષ 1940માં જ્યારે તેમનાં લગ્ન થયાં હતાં, ત્યારે તેઓ માત્ર 11 વર્ષનાં હતાં.
લગ્નના થોડા અઠવાડિયા બાદ ઘરની પાસે રહેતાં એક મહિલાને બોલાવવામાં આવ્યાં અને તેમણે મમ્મીના શરીર પર ટેટૂ બનાવ્યાં હતાં.
ટેટૂઃ વારસો કે બોજ ?
- ટેટૂનું હજારો વર્ષોથી સમાજમાં અસ્તિત્વ છે.
- આ ટેટૂ મહિલાને કેદી, નોકર અને ગુલામ તરીકે ચિહ્નિત કરે છે.
- પ્રાચીન ગ્રીક અને રોમન લોકો પણ પ્રાચીન ભારતીયોની જેમ ટેટૂ ત્રોફાવતા હતા.
- યહૂદીઓને કૉન્સેન્ટ્રેશન કેમ્પમાં રાખવામાં આવતાં ત્યારે તેમના ઉપર નંબર ત્રોફવામાં આવતો.
- આ ટેટૂને મનુષ્યો અને તેમની જાતિની છાપ તરીકે વાપરવામાં આવતા.
- કેટલીક વખત આ ટેટૂને સજાના હેતૂસર પણ વાપરવામાં આવતા. તેનો ઉપયોગ શરમ અને મહિલાઓને જીતવાના સંદર્ભમાં થતો હતો.
- કેટલીક વખત આ ટેટૂ મહિલાઓ પર તેના પિતા અથવા તેની પતિની માલિકી પણ દર્શાવે છે.
જે મહિલા મારી મમ્મીના શરીર પર ટેટૂ બનાવવા આવી હતી તેની પાસે ટેટૂ બનાવવાની નાની મોટી સામગ્રી જ હતી.
તેની પાસે એક અણીવાળું તીક્ષ્ણ ઓજાર હતું જેને તેણે આગથી ગરમ કર્યું હતું.
ટેટૂ બનાવવાની રીત હતી કે પહેલા ઉપરની ચામડીને દઝાડવવામાં આવે અને પછી કાળા રંગના દ્રવ્યોથી ટેટૂ બનાવવામાં આવતું.
એ જમાનામાં કોઈ એનેસ્થેસિયાની ટેકનૉલૉજી ન હતી. તેના કારણે જે મહિલાના શરીર પર ટેટૂ બનાવવામાં આવતું તેણે અસહ્ય દુઃખાવો સહન કરવો પડતો.
દુઃખાવો ઓછો થતા અને ઘા રૂઝાતા પણ લાંબો સમય લાગતો હતો.
ટેટૂના કારણે આવેલા ઘાને રૂઝાતા લગભગ એક મહિનાનો સમય લાગતો હતો.
ઇમેજ સ્રોત, Getty Images
ટેટૂમાં મુખ્યત્વે ગામનું ચિત્ર, પોતાની કૂળજાતિનું ચિત્ર અથવા તો ભગવાન કે દેવી- દેવતાના ચિત્ર હોય છે.
લગભગ સાત દાયકા કરતા પણ વધારે સમય વીતી ગયો છે અને મારી મમ્મીના ટેટૂ ધીરેધીરે આછા પડવા લાગ્યા છે.
પણ તે ટેટૂ બનાવતા સમયે જે તકલીફ અને જે પીડામાંથી તેમણે પસાર થવું પડ્યું હતું તે હજુ પણ તેવી જ છે.
મારી મમ્મી કહે છે, "જ્યારે મારું ટેટૂ બની રહ્યું હતું ત્યારે હું સતત રડતી હતી."
"જે મહિલા મારૂં ટેટૂ બનાવી રહી હતી, હું તેને મારી રહી હતી. અંતે તે મહિલા દાદાજી પાસે ગઈ હતી અને તેમને કહ્યું કે તે મને નહીં સંભાળી શકે."
મારી મમ્મીને કંઈ ખબર ન હતી કે તેના હાથ પર બનાવેલું એક ચિત્ર શા માટે આટલું મહત્ત્વ ધરાવે છે.
તેના હાથ પર શું દોરવામાં આવ્યું હતું તે તો એને પણ ઓળખી શકી ન હતી. કદાચ તે ફૂલ અને પાંદડાની ડિઝાઇન હતી.
લખનૌ યુનિવર્સિટીના સોશિયલ એન્થ્રૉપૉલિજિસ્ટ કેયા પાંડેએ ગ્રામીણ અને આદિવાસીઓમાં ટેટૂના ચલણ અંગે સંશોધન કર્યું હતું.
તેમને જાણવા મળ્યું હતું કે તેઓએ મોટાપાયે ફૂલ તેમજ પશુપક્ષીઓના ચિત્રો બનાવેલાં હોય છે.
મહિલાઓ ઘણી વખત પોતાના પતિ અથવા તો પિતાનું નામ પણ પોતાના હાથ પર લખાવે છે.
તેઓ પોતાનાં ગામનું ચિત્ર, પોતાની કૂળજાતિનું ચિત્ર અથવા તો ભગવાન કે દેવી- દેવતાના ચિત્ર ત્રોફાવે છે.
કેયા પાંડે કહે છે કે તેમણે ભારતના દરેક ગ્રામીણ વિસ્તારમાં મહિલાઓના શરીર પર ટેટૂ જોયા છે.
તેમનું અનુમાન છે કે દેશમાં લાખો મહિલાઓ પોતાના શરીર પર ટેટૂ ધરાવે છે.
કેટલાક ગ્રામીણ વિસ્તારમાં ટેટૂ ન બનાવવા પર મહિલાને અપવિત્ર માનવામાં આવે છે
કેટલાક સમાજમાં, ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં, મહિલાઓ અને પુરુષો બન્ને ટેટૂ બનાવડાવે છે.
કેયા પાંડે કહે છે, "જીવન દરમિયાન અને મોત બાદ પણ આ ટેટૂ લોકોની ઓળખ છે. "
કેયાનું કહેવું છે, "એવું માનવામાં આવે છે કે જ્યારે તમારું મૃત્યુ થાય છે અને તમારો આત્મા સ્વર્ગ અથવા તો નર્કમાં જાય છે, ત્યારે તમને પૂછવામાં આવે છે કે તમે ક્યાંથી આવો છો."
તેઓ ઉમેરે છે, "ત્યારે તમે ટેટૂના માધ્યમથી તમારા વંશ વિશે બતાવી શકશો."
કેટલીક જગ્યાઓ એવી પણ છે કે જ્યાં મહિલાઓ માત્ર ફૅશન માટે ટેટૂ બનાવે છે.
કેટલાક કિસ્સાઓ તો એવા પણ છે કે મહિલાઓ પોતાના શરીર પર ગંદા ટેટૂ બનાવે છે કે જેથી કરીને પુરૂષો દ્વારા શારીરિક શોષણથી બચી શકાય.
પણ ઘણા સમાજમાં, ઉદાહરણ તરીકે મારા પ્રાચીન સમાજમાં, ટેટૂ માત્ર મહિલાઓ માટે જ છે. તેનાથી મહિલા પરિણીત છે કે નહીં તે જાણકારી મળે છે.
મારી મમ્મી અને મારી દાદીમા માટે આ ટેટૂ પવિત્રતાને દર્શાવતા હતા.
અહીંના લોકોની માન્યતા છે કે જ્યાં સુધી મહિલા દર્દનાક ધાર્મિક વિધિથી પસાર ન થઈ જાય, તે પોતાની સાસરીમાં કોઈને ભોજન પીરસી નથી શકતી.
જોકે, પ્રથા હવે ધીમેધીમે ગુમ થઈ રહી છે. ઘણા યુવાનો અને યુવતીઓ પોતાના શરીર પર ટેટૂ બનાવવા માટે ના કહી રહ્યાં છે.
દેશ વિકસી રહ્યો છે. આજની યુવાપેઢી મૉડર્ન બની રહી છે. લોકોના સંપર્ક દુનિયાભરમાં ફેલાઈ રહ્યા છે.
તેના કારણે ગ્રામીણ અને આદિવાસી સમાજ પણ બદલવા લાગ્યો છે.
મહિલાઓને ખબર પણ નથી હોતી કે ટેટૂ શા માટે બનાવવામાં આવે છે
કેયા પાંડે કહે છે કે પરંપરાઓ અને માન્યતાઓ બદલાઈ રહી છે. હવે ગામડાંમાં રહેતી યુવતીઓ પોતાના શરીર પર ટેટૂ બનાવવામાં કોઈ રસ નથી ધરાવતી.
ગત 2000 વર્ષોથી મહિલાઓ આ પ્રથા સાથે જકડાયેલી હતી.
વોટર એઇડ ઈન્ડિયાના પ્રજ્ઞા ગુપ્તા જણાવે છે, "જ્યારથી છોકરીઓનું માસિકચક્ર શરૂ થાય છે ત્યારથી ટેટૂ બનાવવાનું શરૂ કરી દેવામાં આવે છે."
"સૌથી પહેલું ટેટૂ તેમના કપાળ પર બનાવવામાં આવે છે. ત્યારબાદ ધીરે ધીરે થોડા વર્ષોમાં આખા શરીર પર ઘણી જગ્યાએ ટેટૂ જોવા મળે છે."
પ્રજ્ઞા ગુપ્તા હાલ જ મધ્ય ભારતની બૈગા જનજાતિના લોકોને મળ્યા હતા. તેઓ વિસ્તારમાં લોકોને પીવાનું શુદ્ધ પાણી મળે છે કે નહીં તે અંગે જાણકારી મેળવવા ત્યાં ગયાં હતાં.
તેમણે બીબીસીને કહ્યું કે પોતાનાં સંશોધન દરમિયાન તેઓ જેટલી પણ મહિલાઓને મળ્યાં, તેમના શરીર પર ટેટૂ હતા. પણ નાની છોકરીઓએ ટેટૂ બનાવવાની ના પાડી દીધી છે.
આજે દેશમાં કનેક્ટિવિટીમાં સુધારો આવ્યો છે. આજે ગામડે ગામડે લોકો પાસે ટીવી અને મોબાઈલ ફોન છે, બાળકો સ્કૂલે જઈ રહ્યા છે, તેના કારણે તેઓ બાકી દુનિયાથી રૂબરૂ થઈ શક્યા છે.
તેના કારણે જ હવે લોકો એવું માની રહ્યા છે કે રીતરિવાજના નામે તેમનાં બાળકો આ દર્દનાક પ્રથામાંથી પસાર ન થાય.
તેના જ કારણે હવે નવી પેઢીની છોકરીઓનાં શરીર પર પણ ટેટૂ ઓછા જોવા મળી રહ્યા છે.
પ્રજ્ઞા ગુપ્તા કહે છે, "હું અનીતા નામની 15 વર્ષની કિશોરીને મળી. તેના કપાળ પર ટેટૂ બનાવવામાં આવ્યું છે."
તેણે મને કહ્યું કે ટેટૂ બનાવવું ખૂબ જ દર્દનાક અનુભવ હતો. હવે તે બીજી વખત ક્યારેય ટેટૂ નહીં બનાવે.
ઇમેજ સ્રોત, WATERAID/ RONNY SEN
બદરી બાઈ (ડાબી બાજુએ)ના પુરા શરીર પર ટેટૂ છે પણ તેમની દીકરી અનિતાએ ટેટૂ માટે ના કહી દીધી છે
અનિતાનાં મમ્મી બદરીની ઉંમર 40 વર્ષ છે, તેમનાં આખા શરીર પર ટેટૂ છે.
અનિતાએ ટેટૂ બનવવા મામલે જે વિરોધ કર્યો તેમાં તેમને તેમનાં મમ્મીનું સમર્થન મળ્યું.
તેઓ કહે છે, "હું અભણ છું અને મેં મારા માતાપિતાએ મને જે કરવા કહ્યું તે મેં કોઈ સવાલ પૂછ્યા વગર કરી નાખ્યું. પણ મારી દીકરી સ્કૂલે જાય છે. અને જો તે ટેટૂ બનાવવા નથી ઇચ્છતી તો તેમાં કંઈ વાંધો નથી."
છેલ્લાં થોડાં વર્ષોમાં શિક્ષિત લોકો પણ સેલેબ્રિટીઝ અને રૉકસ્ટારથી પ્રભાવિત થઈને ટેટૂ બનાવી રહ્યા છે. મારા પણ ઘણા મિત્રો છે કે જેમણે ટેટૂ બનાવ્યા છે.
પણ મારા માટે આ ટેટૂ એક શાપિત વસ્તુ છે-જે મહિલા પર પુરુષના અધિકારને દર્શાવે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો