મુઘલોના સમયમાં દિલ્હી અને આગ્રામાં કેવી રીતે ઊજવાતો ખ્રિસ્તીઓનો તહેવાર નાતાલ?
- આર. વી. સ્મિથ
- વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

ઇમેજ સ્રોત, Getty Images
ચર્ચની પ્રતિકાત્મક તસવીર
દિલ્હી સહિત અન્ય શહેરો અને હોટલમાં નાતાલની ઊજવણી કરતી આજની પેઢીને એ જાણીને આશ્ચર્ય થશે કે મુઘલ શાસકો પણ નાતાલની ઊજવણી કરતા.
ઔરંગઝેબ અને બીજા અન્ય કેટલાક રાજાઓને આમાંથી બાદ કરવામાં આવે તો અકબરથી લઈને શાહ આલમ સુધીના મુઘલ શાસકોએ નાતાલની ઊજવણી કરી હતી.
યુરોપમાં મધ્યયુગથી ક્રિસમસના તહેવારની ઊજવણીની શરૂઆત થઈ હતી.
ઉત્તર ભારતમાં નાતાલના તહેવારોની ધમાકેદાર ઊજવણીની શરૂઆત અકબરના સમયમાં થઈ.
અકબરે આગ્રામાં તેમના રાજદરબારમાં એક પાદરીને આમંત્રિત કર્યા હતા. મુઘલકાળમાં આગ્રા પૂર્વનું સૌથી વૈભવી શહેર હતું.
લેખક થોમસ સ્મિથે કહ્યું છે કે યુરોપિયનો આ સ્થળે આવતા તો અહીંની ગલીઓની ચમકથી અંજાઈ જતા.
શહેરના વેપારની સમૃદ્ધિ અને યમુના નદીને કાંઠે આવેલા રાજ-મહેલોની સાથે યમુના નદીની સુંદરતા જોઈને પ્રભાવિત થઈ જતા.
તમને આ પણ વાંચવું ગમશે
આગ્રામાં નાતાલનો રંગ જોવા મળતો
ઇમેજ સ્રોત, Getty Images
આગ્રાની બજારોમાં તહેવારની છટા સ્પષ્ટ જોવા મળતી
સ્મિથ વધુમાં ઉમેરે છે, "આગ્રા એક મહાનગર હતું જેની મુલાકાત ઇટાલીના સોનીઓ, પોર્ટુગલ અને ડચ જહાજના માલિકો, ફ્રેન્ચ પ્રવાસીઓ, વેપારીઓ અને વિદ્વાનો, મધ્ય એશિયા ઈરાનના કારીગરો સહીતના મધ્ય પૂર્વના વિદ્વાનો આવતા."
આગ્રામાં વિદેશીઓની વસ્તી ઘણી હોવાને કારણે તે દિવસોમાં નાતાલની ઊજવણી બહુ મોટો પ્રસંગ હતો.
ફ્રાંસિસ્કન એનલ્સ જણાવે છે કે, "નાતાલની ઊજવણીના સમયે એક પ્રકારે ખુશીથી પ્રફુલ્લિત લોકોની ભીડ શહેરમાં ફેલાયેલી રહેતી હતી."
આગ્રાની બજારોમાં તહેવારની છટા સ્પષ્ટ જોવા મળતી હતી.
ડિસેમ્બરના ઠંડા શિયાળા દરમિયાન ઘણા દેશોની કમાનો, બેનરો અને ધ્વજ લહેરાતા જોવા મળતા હતા.
ઇમેજ સ્રોત, UNIVERSAL HISTORY ARCHIVE
"ટ્રમ્પેટ, શરણાઈ વાગતી, ફટાકડા ફોડવામાં આવતા અને ચર્ચનો ઘંટ વગાડવામાં આવતો."
બાદશાહ અકબરે શહેરમાં એક ભવ્ય ચર્ચ બનાવવા માટે મંજૂરી આપી હતી. જેમાં ભારે-ભરખમ ઘંટ લગાવવામાં આવ્યા હતા.
આ ઘંટ પૈકીનો એક ઘંટ અકબરના પુત્ર જહાંગીરના શાસનકાળ દરમિયાન તૂટ્યો હતો. ઘંટ એટલો મોટો હતો કે હાથી પણ ઊંચકીને કોટવાળી સુધી સમારકામ માટે લઈ જઈ શક્યો ન હતો.
આ ઘંટ જહાંગીરના ભત્રીજા માટે યોજાયેલા એક ભવ્ય કાર્યક્રમ દરમ્યાન તૂટ્યો હતો.
એવું કહેવાય છે કે તે સમયે ચર્ચનો એક કર્મચારી પ્રસંગોપાત અત્યંત ખુશ હોવાથી જ્યાં સુધી ઘંટ તૂટીને પડી ન ગયો ત્યાં સુધી અનેક કલાકો માટે તે ઘંટ વગાડતો રહ્યો.
સદભાગ્યે આ દુર્ઘટના દરમ્યાન કોઈ વ્યક્તિ કે કર્મચારીને ઈજા થઈ ન હતી.
અકબર અને જહાંગીર આ તહેવારની પરંપરાગત રીતે ઊજવણી કરતા અને આગ્રા ફોર્ટમાં પરંપરાગત ભોજન સમારંભમાં પણ ભાગ લેતા.
બિશપની જેમ જ અકબરનું સ્વાગત
ઇમેજ સ્રોત, Getty Images
બાદશાહ અકબર દર ક્રિસમસમાં આગ્રાના ચર્ચની મુલાકાત લેતા ત્યારે તેમનું 'બિશપ' તરીકે સ્વાગત કરવામાં આવતું
ક્રિસમસની સવારે બાદશાહ અકબર તેમના દરબારીઓ સાથે ચર્ચમાં આવતા અને પ્રતીકાત્મક રૂપે ઈશુ ખ્રિસ્તના જન્મને દેખાડવા માટે બનાવાયેલી ગુફાને તેઓ નિહાળતા.
સાંજે હરમની મહિલાઓ અને યુવાન રાજકુમારો લાહોરમાં ચર્ચની મુલાકાત લેતા અને મીણબત્તીઓ મુકતા.
જ્યારે બાદશાહ અકબર દર ક્રિસમસમાં આગ્રાના ચર્ચની મુલાકાત લેતા ત્યારે તેમનું 'બિશપ' તરીકે સ્વાગત કરવામાં આવતું, ઘંટ વગાડવામાં આવતો અને ભજનો ગવાતાં.
"જે યુરોપિયનો જમીન પર એકબીજા સામે લડાઈની રણનીતિ ઘડતા તેઓ આ તહેવારે સાથે જોવા મળતા."
"તેઓ આ તહેવારમાં સાથે ભાગ લેતા. આગ્રા અને કદાચ ઉત્તર ભારત ક્રિસમસ પર રમી શકાય એવી રમતો તેમના માટે લઈને આવ્યું હતું."
"નાતાલની રાત્રે સામાન્ય રીતે નાના બાળકો પરીઓના વસ્ત્રો ધારણ કરીને ઈસુ ખ્રિસ્તના જન્મનું નાટક ભજવતા."
શાહી ફૌજ પર સુરક્ષાની જવાબદારી
ઇમેજ સ્રોત, Getty Images
ખ્રિસ્તીઓ દ્વારા સાર્વજનિક પ્રાર્થના પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો
અકબર અને જહાંગીરના સમયમાં નાટકને સારી રીતે આયોજિત કરવામાં આવતું હતું.
શાહી લશ્કર ડ્રામા દરમ્યાન શાંતિ જાળવી રાખતો હતો કારણ કે જાહેર ભંગાણની ધમકીને કારણે જનતા પર અસર થતી નહોતી.
વણનોતરેલી પ્રજા આ નાટકો જોવા આવેલી હોય નાટક દરમ્યાન કોઈ ધમાલ ન સર્જાઈ તે હેતુથી અને નાટક દરમ્યાન શાંતિ જળવાઈ રહે એ માટે શાહી સેના સ્થળ પર હાજર રહેતી.
નાટકનું રિહર્સલ બજારના વિસ્તારમાં કરવામાં આવતું હતું જેને હવે 'ફુલેટ્ટી' તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં બ્રિટીશ મથક આવેલું હતું.
"શાહજહાંનો પોર્ટુગીઝ લોકો સાથે મતભેદ હોવાથી 1632ની સાલ પછી નાટક બંધ કરવામાં આવ્યું."
હુગલી બંદર બંધ થયા પછી આગ્રામાં ચર્ચને તોડી પાડવામાં આવ્યું હતું.
ખ્રિસ્તીઓ દ્વારા સાર્વજનિક પ્રાર્થના પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.
એ સમયે ઘણા પોર્ટુગીઝ કેદીઓ આગ્રામાં હતા જેમને બંગાળથી લાવામાં આવ્યા હતા.
જ્યારે 1640માં મુઘલો અને પોર્ટુગીઝ વચ્ચેના સંબંધો સારા થયા ત્યારે તેમને આગ્રામાં એક ચર્ચ ફરીથી બનાવવા માટે મંજૂરી આપવામાં આવી હતી.
ચર્ચ હજુ પણ અસ્તિત્વ ધરાવે છે પરંતુ મુઘલ શાસક મુહમ્મદ શાહ રંગીલાના સમય સુધી આ નાટક ભજવવામાં આવ્યું ન હતું.
રંગીલાએ અકબરના સમયથી આગ્રા અને દિલ્હીમાં રહેતા ફ્રાન્સના બર્બનો અને ડચ લોકોની મદદ કરી હતી.
1958 માં ડ્રામા ફરી શરૂ થયો
ઇમેજ સ્રોત, Getty Images
1940ના અંત સુધી આ નાટકનું આયોજન કરવામાં આવ્યું ન હતું
પરંતુ કેટલાક કથિત અપમાન પછી, બર્બનોએ દિલ્હી છોડ્યું અને તેઓ ભોપાલમાં સ્થાયી થયા.
ત્યારબાદ શાહ આલમ, અકબર શાહ સૈની અને બહાદુર શાહ ઝફરએ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના અંગ્રેજ અધિકારીઓ સાથે નાતાલની ઊજવણી કરી.
જોકે, 1940ના અંત સુધી આ નાટકનું આયોજન કરવામાં આવ્યું ન હતું.
1958માં આગ્રાના પ્રથમ ભારતીય આર્કબિશપ ડોમિનિક આર્થાઇડે આ નાટકને ફરી જીવંત કર્યું.
આ સમયે જો કોઈ ગેરહાજર હતા તો એ મહાન મુઘલો હતા.
તેમ છતાં તેમના અસ્તિત્વને આધ્યાત્મિક રીતે અનુભવવામાં આવી રહ્યું હતું કારણ કે આગ્રા અને ચર્ચે તેમની પાસેથી ઘણું બધું લીધું છે.
આગરા અને દિલ્હીના બિશપના આદેશમાં ઉત્સાહ સાથે નાતાલની ઉજવણીની વાત તો છે, પરંતુ નાટક ભજવવાની પરંપરાને અવગણવામાં આવી છે તે બહુ દુઃખદાયક વાત છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો