ગેંડાનું સ્વર્ગ ગણાતા કાઝીરંગા પાર્કે રજૂ કરી સફળતાની અવિશ્વસનીય કહાણી

ઇમેજ સ્રોત, EPA
વસતી ગણતરી કરવા માટે હાથી તેમજ જીપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો
ભારતના આસામમાં આવેલું કાઝીરંગા નેશનલ પાર્ક ગેંડાઓનું ઘર છે. આ કાઝીરંગા પાર્કે વન્ય જીવ સંરક્ષણ મામલે એક મોટી સફળતા પ્રાપ્ત કરી છે.
અહીં કરવામાં આવેલી ગેંડાઓની વસતી ગણતરી દરમિયાન જાણવા મળ્યું છે કે વર્ષ 2015થી અહીં એક શિંગડું ધરાવતા 12 ગેંડા વધ્યા છે.
તેની સાથે જ અહીં વસતા ગેંડાઓનો આંકડો 2413 પર પહોંચી ગયો છે.
કાઝીરંગા નેશનલ પાર્કને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન આપવામાં આવ્યું છે. દુનિયાના બે તૃતિયાંશ જીવ આ જ પાર્કમાં વસવાટ કરે છે.
પ્રાણીઓની વસતી ગણતરી દર ત્રણ વર્ષે કરવામાં આવે છે.
બીબીસીના સાઉથ એશિયા એડિટર અનબરાસન એથિરાજન કહે છે, "આ ગેંડાના સંરક્ષણની એક અવિશ્વસનીય સફળતાની કહાણી છે."
"વર્ષ 1970ના દાયકામાં અહીં ગેંડાની સંખ્યા માત્ર 100 કરતા વધારે હતી."
તમને આ પણ વાંચવું ગમશે
વસતી ગણતરી માટે અધિકારીઓએ 430 સ્ક્વેર કિલોમીટર વિસ્તારના પાર્કને 74 ભાગમાં વહેંચી દીધું હતું. વસતી ગણતરી 300 સરકારી અને બીજા NGO અધિકારીઓએ મળીને કરી હતી.
વસતી ગણતરી માટે 40 હાથી તેમજ 17 જેટલા વાહનોની મદદ લેવામાં આવી હતી.
ઇમેજ સ્રોત, EPA
વસતી ગણતરીમાં જે આંકડો જાહેર કરવામાં આવ્યો છે તે માત્ર એક અનુમાન છે. અધિકારીઓને શંકા છે કે આ આંકડો હજુ ઉપર પહોંચી શકે છે. કેમ કે કેટલાક પ્રાણીઓ ગુપ્ત જગ્યાએ ઘાસ પાછળ છૂપાયેલા હોઈ શકે છે.
આ ઘાસને સામાન્યપણે સળગાવી દેવામાં આવે છે જેથી પ્રાણીઓની ગણતરી સહેલાઈથી થઈ શકે. પરંતુ આ વખતે કમોસમી વરસાદના કારણે ઘાસ ફરી વધી ગયું છે.
તેનો મતલબ છે કે ગેંડાની વસતી ગણતરી ફરી આગામી વર્ષે થઈ શકે છે.
વર્ષ 1905થી પ્રાણીઓના સંરક્ષણ માટે કાઝીરંગા સૌથી શ્રેષ્ઠ સ્થળ માનવામાં આવી રહ્યું છે.
અહીં એક શિંગડું ધરાવતા ગેંડા સિવાય વાઘ પણ વધારે વસે છે. તેના કારણે ભારત સરકારે આ જગ્યાને વાઘ અભ્યારણ્ય તરીકે જાહેર કરી હતી.
અહીં હાથી, જંગલી જળ ભેંસો તેમજ ઘણા પક્ષીઓ પણ વસેલા છે.
પાર્કમાં આવેલી નદીમાં દક્ષિણ એશિયન નદીઓમાં વસતી ડોલ્ફીન પણ મળી આવે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો