LGBT પણ સમાન મૂળભૂત અધિકારો ધરાવે છે : SC

ઇમેજ સ્રોત, Getty Images
દેશની સર્વોચ્ચ અદાલતે સમલૈંગિકતા અંગે આજે ચુકાદો આપ્યો છે.
જેમાં પરસ્પર સંમતિથી બે પુખ્ત વ્યક્તિ વચ્ચે બાંધવામાં આવતા સમલૈંગિક સંબંધને હવે ભારતમાં ગુનો ગણવામાં નહીં આવે.
પાંચ જજની ખંડપીઠે સર્વાનુમતે સમલૈંગિક સેક્સને કાયદેસરની માન્યતા આપી દીધી છે.
મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે LGBT સમુદાયને પણ સમાજના અન્ય લોકોની જેમ સમાન અધિકારો છે.
મુખ્ય ન્યાયાધિશે ચુકાદો આપતા કહ્યું કે જર્મન વિચારક સ્કોપેનહોરે કહ્યું હતું કે હું જેવો છું તેવો જ મને સ્વીકારો. કોઈ પોતાની ઓળખને અવગણી ન શકે.
શું તમે આ વાંચ્યું?
ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ નરીમન, એ.એમ.ખાનવિલ્કર, ડી.વાય.ચંદ્રચૂડ અને જસ્ટિસ ઇન્દુમલ્હોત્રાની ખંડપીઠે આ મુદ્દે આ ચુકાદો આપ્યો છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા પ્રમાણે સંયુક્ત રાષ્ટ્રએ પણ આ ચુકાદાને આવકાર્યો છે.
શું કહી રહ્યા છે અમદાવાદના LGBT સમુદાયના લોકો?
LGBT સમુદાયના લોકો અને LGBT સમુદાય માટે મૅરેજ-બ્યુરો ચલાવતા ઉર્વી શાહ સાથે અમદાવાદથી વાતચીત
દેશભરમાં ઉજવણી શરૂ
સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બાદ દિલ્હીની લલિત હોટલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. લલિત હોટલના એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર કેશવ સુરી એક અગ્રણી LGBT કાર્યકર્તા છે.
સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ મુંબઈમાં લોકોએ ઉજવણી કરી હતી.
સમલૈગિકતા હવે ગુનો નહીં ગણાય તેવા પ્રકારના સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ચેન્નઈમાં પણ લોકોએ ઉજવણી કરી હતી.
બેંગલુરુમાં પણ લોકોએ સુપ્રીમના ચુકાદા બાદ ઉજવણી શરૂ કરી હતી.
કોર્ટે ચુકાદો આપતાં શું કહ્યું?
ઇમેજ સ્રોત, Getty Images
- કોર્ટે કહ્યું કે સામાજિક બહિષ્કાર એક સ્પષ્ટ વાસ્તવિકતા છે.
- જ્યારે સમાજની દરેક વ્યક્તિ સ્વતંત્રપણે તેમના વ્યક્તિત્વ (પ્રકૃતિ)ની અભિવ્યક્તિ કરી શકે ત્યારે આપણી જાતને આપણે એક આઝાદ સમાજ કહી શકીશું.
- ખોટી માન્યતાઓ તથા પૂર્વાગ્રહોને દૂર કરવાથી અસામાનતા સહન કરનારા લોકો માટે સમાનતાના અધિકારની ખાત્રી થાય છે.
- સમાજમાં પ્રવર્તતી ખોટી માન્યતાઓ અને પૂર્વાગ્રહોને આપણે જાકારો આપવો પડશે.
- બહુમતી ધરાવતા વ્યક્તિત્વ(પ્રકૃતિ) દ્વારા કરવામાં આવતા વિરોધને અવરોધીને બંધારણીય મૂલ્યોને સાચવવા માટે સરકારના ત્રણેય સ્તંભે જવાબદારી નિભાવવી પડશે.
- તેમણે કહ્યું કે જ્હોન સ્ટુઅર્ટ મિલે કહ્યું હતું કે, માનવતા એક સંયુક્ત એકતા છે. વ્યક્તિગત અભિવ્યક્તિનો ઇનકાર એ મૃત્યુ બરાબર છે. ખરેખર તે વ્યક્તિગત અભિવ્યક્તિ સામે દમનકારી છે. વ્યક્તિ ખુદ પોતાની જાતને પરિભાષિત કરે તે વ્યક્તિત્વનું સાચું સ્વરૂપ છે.
- ઉપરાંત ઓબ્ઝર્વેશનમાં કહ્યું કે શેક્સપિયરે કહ્યું હતું કે નામમાં શું રાખ્યું છે. આ કહેવતનો મૂળ અર્થ એ છે કે ખરેખર માણસોના ગુણ અને તેમની મૂળભૂત લાક્ષણિકતાઓ મહત્ત્વ ધરાવે છે. વ્યક્તિને શું કહેવામાં આવે છે તે મહત્ત્વનું નથી.
- નામ કદાચ ઓળખની સહજતા માટેનો વિચાર હોઈ શકે પરંતુ સૌથી મહત્ત્વની બાબત વ્યક્તિની મૂળભૂત ઓળખ છે.
- LGBT સમુદાય પણ અન્ય વ્યક્તિઓની જેમ સમાન માનવ અધિકાર અને મૂળભૂત અધિકારો ધરાવે છે.
- સમાનતા એક ઇમારત છે અને તમામની સમાનતા તેનો પાયો છે.
- જાતિય સંભોગને અપરાધ ગણવો અતાર્કિક, આપખુદ અને ગેરબંધારણીય છે.
- આપણા સમાજની મજબૂત વૈવિધ્યતાના સન્માન કરવાની જરૂર છે.
- સહિષ્ણુતાને પ્રોત્સાહિત કરવા અને એકબીજાના અધિકારોના સન્માન માટે તે જરૂરી છે.
- વ્યક્તિની સાચી પ્રકૃતિને સ્વીકારવી જોઈએ. તે જે નથી તે બનવા માટે તેને મજબૂર ન કરવી જોઈએ.
- મેઘધનૂષના રંગો ઉદાહરણ છે. બંધનોમાંથી મુક્તિ સમજવાની વાત છે. આડંબર વગર જીવન જીવવું જોઈએ.
જાણો કે શું છે LGBTQ?
ચુકાદા પર કોણે શું કહ્યું?
ફિલ્મ દિગ્દર્શક અને પ્રોડ્યુસર કરન જોહરે ટ્વીટ કરીને કહ્યું કે આ એક ઐતિહાસિક ચુકાદો છે. મને ખૂબ ગર્વ છે. આ ચુકાદો સમાન અધિકારો અને માનવતા માટે ખૂબ મહત્ત્વનો છે.
પત્રકાર, કવિ અને પેઇન્ટ એવા પ્રિતિશ નંદીએ ટ્વીટ કરીને કહ્યું કે ફ્રેડી મર્ક્યુરીના જન્મદિવસે જ આ ચુકાદો આપવામાં આવ્યો છે. જે આ ગ્રેટ સિંગરને ખરી શ્રદ્ધાંજલિ છે.
વરિષ્ઠ પત્રકાર બરખા દત્તે આ મામલે ટ્વીટ કરતાં તેમણે LGBT સમુદાયને આ ચુકાદા મામલે અભિનંદન આપ્યાં હતાં. તેમણે મુખ્ય ન્યાયાધિશ દિપક મિશ્રા અને આ ચુકાદો આપનાર ખંડપીઠને પણ અભિનંદન આપ્યાં હતાં.
શશી થરૂરે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે મને સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને આવકારતા આનંદ થાય છે. આ દેશમાં આપણે સરકારને લૈંગિકતાના આધારે લોકોના ખાનગી જીવનમાં દખલ કરવાની પરવાનગી આપી હતી. જોકે, હવે સુપ્રીમ કોર્ટે તમામ લોકોને સમાન અધિકાર આપવાની પહેલ કરી છે.
આ પહેલાં શું થયું હતું?
ઇમેજ સ્રોત, Getty Images
સુપ્રીમ કોર્ટે વર્ષ 2013માં દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને ફેરવીને આને ગુનાની શ્રેણીમાં મૂકી દીધો હતો.
ત્યારબાદ સુપ્રીમ કોર્ટને આના વિરોધમાં કેટલીય અરજીઓ પ્રાપ્ત થઈ હતી.
આઈઆઈટીના 20 વિદ્યાર્થીઓએ નાઝ ફાઉન્ડેશન સાથે મળીને આ અરજી કરી હતી.
આ ઉપરાંત અલગ-અલગ લોકોએ પણ સમલૈંગિક સંબંધો અંગે અદાલતના દરવાજા ખખડાવ્યા હતા.
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, LGBTQ શું છે?
જેમાં 'ધ લલિત હોટલ્સ'ના કેશવ સૂરીનો પણ સમાવેશ થાય છે.
અત્યારસુધી સુપ્રીમ કોર્ટને કલમ -377 વિરુદ્ધ 30 કરતાં વધારે અરજીઓ પ્રાપ્ત થઈ ચૂકી છે.
અરજી દાખલ કરનારાઓમાં સૌથી જૂનું નામ નાઝ ફાઉન્ડેશનનું છે, જેણે 2001માં પણ કલમ-377 ને ગુનાની શ્રેણીમાંથી હટાવવાની માગણી કરી હતી.
કલમ 377નો વિરોધ કરતા પક્ષોનું વલણ
ઇમેજ સ્રોત, Getty Images
સમલૈંગિક સેક્સને કાયદેસરનું ગણતા કોઈ પણ પગલાંનો દિલ્હી કમિશન ફોર પ્રૉટેક્શન ઑફ ચાઇલ્ડ રાઈટ્સ, ધ અપોસ્ટોલિક ચર્ચીઝ અલાયન્સ અને બે અન્ય ખ્રિસ્તી સંગઠનોએ વિરોધ કર્યો હતો.
અગાઉ આ મુદ્દાનો વિરોધ કરી ચૂકેલા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે હવે તટસ્થ વલણ લીધું છે અને આ મુદ્દે નિર્ણય લેવાનું સુપ્રીમ કોર્ટ પર છોડ્યું હતું.
તેમના જણાવ્યા મુજબ, બે પુખ્ત વ્યક્તિઓ વચ્ચે ખાનગીમાં પારસ્પરિક સહમતીથી થતું સેક્સ અંગતતા અને આત્મગૌરવના અધિકાર હેઠળ આવરી લેવામાં આવશે તો તેનાથી નૈતિકતા, શિષ્ટાચાર અને આરોગ્યના સિદ્ધાંતો મર્યાદિત થઈ જશે.
કુરાન, બાઇબલ, અર્થશાસ્ત્ર અને મનુસ્મૃતિ જેવા ધાર્મિક ગ્રંથોમાં પણ સમલૈંગિકતાને વખોડવામાં આવી છે.
કાયદાની યોગ્યતા નક્કી કરવામાં સામાજિક નૈતિકતા પણ મહત્ત્વની બાબત હોય છે, એવું પણ જણાવવામાં આવ્યું હતું.
ભારત સરકારે આ સમગ્ર વિવાદમાં અનેક વખત ગુલાંટો મારી હતી.
કલમ ક્રમાંક 377ની યોગ્યતાને પડકારવામાં આવી ત્યારે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી વખતે તત્કાલીન યુપીએ સરકારે આ કલમનો જોરદાર બચાવ કર્યો હતો, પરંતુ હાઈકોર્ટે સરકારના વાંધા સ્વીકાર્યા ન હતા અને આ જોગવાઈ રદ્દ કરી હતી.
જોકે, સુપ્રીમ કોર્ટમાં સરકારે અલગ વલણ લીધું હતું. કાયદા અધિકારીએ શરૂઆતમાં જણાવ્યું હતું કે સરકારે દિલ્હી હાઈકોર્ટમાં લીધેલા વલણમાં કોઈ ફેરફાર કર્યો નથી.
જોકે, એ પછીના દિવસે પી. ચિદમ્બરમ, વીરપ્પા મોઈલી અને ગુલામ નબી આઝાદ તત્કાલીન કેન્દ્રીય પ્રધાનોની દરમ્યાનગીરીને કારણે એટર્ની જનરલ ગુલામ વહાણવટીએ જણાવ્યું હતું કે સરકાર આ મુદ્દે નિર્ણય કરવાનું કામ કોર્ટ પર છોડે છે.
કેન્દ્ર સરકારનાં તટસ્થ વલણ છતાં કોર્ટે આ ચુકાદાને માન્ય રાખ્યો હતો.
ઇમેજ સ્રોત, Getty Images
અરજીના બીજા તબક્કામાં કેન્દ્ર સરકારે તેના વલણમાં ફેરફાર કર્યો હતો અને જણાવ્યું હતું, "આ મુદ્દે નિર્ણય લેવાનું કામ અમે કોર્ટના ડહાપણ પર છોડીએ છીએ."
જોકે, યોગ્ય સોગંદનામુ દાખલ કરવામાં આવે એ પહેલાં ફિયાસ્કો થયો હતો.
આરોગ્ય મંત્રાલયે 70 પાનાનું સોગંદનામું તૈયાર કર્યું હતું. તેમાં જણાવવામાં આવ્યું હતું, "સમલૈંગિકતાની છૂટ આપવામાં આવશે તો એઈડ્ઝ અને એચઆઈવી જેવા રોગો વધારે ફેલાશે એટલું જ નહીં પરંતુ માનસિક રોગોથી પણ લોકોને નુકસાન થશે.”
“સમલૈંગિકતાથી આરોગ્યનું મોટું જોખમ સર્જાશે અને સમાજનાં નૈતિક મૂલ્યોનું અધઃપતન થશે. સમલૈંગિક સંબંધનો કોઈ શારીરિક હેતુ નથી, કારણ કે તેનાથી બાળકોનો જન્મ થઈ શકતો નથી.”
“બધા સમલૈંગિક હશે તો માનવજાત પર પૂર્ણવિરામ મૂકાઈ જશે. એ ખતરનાક છે અને સંખ્યાબંધ સામાજિક વિકૃતિ સાથે સંકળાયેલું છે. તે વેગળું, વિકૃત, ઘૃણાસ્પદ અને સદતંર ખોટું છે."
અલબત, આ સોગંદનામાને ગૃહ મંત્રાલયે છેલ્લી ઘડીએ ફગાવી દીધું હતું અને પક્ષની ચૂંટણી ઢંઢેરાના વલણ અનુસારનું ચાર પાનાનું નવું સોગંદનામું દાખલ કર્યું હતું.
ભારતીય જનતા પક્ષે 2014માં એવો સંકેત આપ્યો હતો કે કાયદામાં ફેરફાર કરવામાં આવશે. સરકારનું વર્તમાન વલણ તેના ચૂંટણી ઢંઢેરા અનુસારનું છે.
શું આ કોઈ બીમારી છે?
ઇમેજ સ્રોત, Getty Images
માનસિક સારવાર અંગેના નિષ્ણાતો(મનોચિકિત્સકો)નું માનવું છે કે આવા લોકોથી ડરવાની કોઈ જરૂર નથી. આ લોકોનો પણ સમાજમાં સ્વીકાર થવો જોઈએ.
જોકે, એવું નથી કે તમામ મનોચિકિત્સકો આ વાત સાથે સહમત છે.
'ઇન્ડિયન સાઇકિયાટ્રિક સોસાયટી'એ એક અધિકારિક નિવેદન આપતા જણાવ્યું હતું કે હવે સમલૈંગિકતાને ગુનો ગણવાનું બંધ કરી દેવું જોઈએ.
સોસાયટીના અધ્યક્ષ ડૉ.અજીત ભિડેનું કહેવું છે કે છેલ્લાં 40-50 વર્ષોમાં એવો કોઈ વૈજ્ઞાનિક પુરાવો મળ્યો નથી કે જેનાથી સાબિત થઈ શકે કે સમલૈંગિકતા એક બીમારી છે.
ડૉ. ભિડેએ પણ જણાવ્યું કે સમલૈંગિક હોવું બસ અલગ છે, અપ્રાકૃતિક કે અસામાન્ય નથી.
જોકે, આઈપીસીની કલમ -377 પણ સમલૈંગિક સંબંધોને અપ્રાકૃતિક અને દંડનીય ગુનો માને છે.
અન્ય દેશોમાં શું સ્થિતિ છે?
ઇમેજ સ્રોત, Getty Images
સંયુક્ત રાષ્ટ્રના એક કૅમ્પેન (માનવ અધિકાર હેઠળ આવનારા ફ્રી એન્ડ ઇક્વલ કૅમ્પેન) અનુસાર દુનિયાભરના 76 દેશોમાં સમલૈંગિકતા માટેના ભેદભાવપૂર્ણ કાનૂન છે.
કેટલાક દેશોમાં મૃત્યુદંડની જોગવાઈ પણ છે.
જોકે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં સમલૈંગિકતા અંગેની સ્વીકૃતી વધી છે.
ઑસ્ટ્રેલિયામાં હાલમાં જ ગે લગ્નોને પણ કાયદાકીય માન્યતા આપવા માટે મતદાન કરાવવામાં આવ્યું, બર્મૂડામાં પણ ગે લગ્નોને પ્રતિબંધિત કરનારા કાયદાને બદલી નાખવામાં આવ્યો છે.
ઑક્ટોબર 2017 સુધીના આંકડા જોઈએ તો લગભગ 25 દેશો એવા છે કે જ્યાં સમલૈંગિક સંબંધોને કાયદાકીય માન્યતા પ્રાપ્ત છે.
આ લોકોનું માનવું છે કે લગ્નને કાયદાકીય માન્યતા અપાવવી એ એમનું લક્ષ્ય નથી. એમની લડત ઓળખ માટેની છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો