ICC બેઠક : બૉલ ચમકાવવા લાળના બદલે શેનો ઉપયોગ કરશે ખેલાડી?
- પરાગ ફાટક
- બીબીસી સંવાદદાતા

ઇમેજ સ્રોત, FRANCOIS NEL
દુનિયાભરમાં એક તરફ કોવિડ-19ના કેસ વધી રહ્યા છે, ત્યારે બીજી તરફ બુધવારે ક્રિકેટની ગવર્નિંગ બૉડી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)ના કેટલાક મુદ્દાઓ પર બેઠક થવાની છે.
બીબીસી મરાઠી સંવાદદાતા પરાગ ફાટક કહે છે કે આઈસીસીના દુબઈ મુખ્યાલયમાં થનારી બેઠક ચર્ચામાં રહી છે કારણકે આમાં આખી ક્રિકેટ સિઝન નક્કી કરવામાં આવે છે.
પરંતુ આ વખતે આઈસીસીના સભ્યો વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે મળશે.
જોકે, આઈસીસી બોર્ડની બેઠક 28 મેના દિવસે થવાની હતી પરંતુ ગોપનીયતા ભંગ થવાના મુદ્દાને કારણે 10 જૂન સુધી સ્થગિત કરવામાં આવી હતી.
આ બેઠકમાં જે મુદ્દા પર ચર્ચા થશે તેમાં બૉલ ચમકાવવા માટે શું વપરાશે, આઈપીએલનું શું થશે અને ટી-20 વર્લ્ડ કપ થશે કે કેમ, જેવા મુદ્દાઓને આવરી લેવામાં આવશે.
બૉલને ચમકાવવા માટે શું વાપરશે ખેલાડીઓ?
ઇમેજ સ્રોત, LAKRUWAN WANNIARACHCHI
આઈસીસીએ મંગળવારે અંતરિમ ફેરફારની પુષ્ટિ કરતાં બૉલને ચમકાવવા માટે લાર વાપરવા પર રોક લગાવી દીધી. એ સિવાય ટેસ્ટ મૅચમાં કોવિડ-19ના લક્ષણ દેખાતાં ખેલાડીને બદલવાની મંજૂરી આપવામાં આવી છે.
જોકે ખેલાડી બદલવાનો આદેશ અત્યારે માત્ર વેસ્ટ ઇન્ડીઝ અને ઇંગ્લૅન્ડ વચ્ચે ત્રણ ટેસ્ટ મૅચની સીરીઝ પર લાગુ થશે.
થૂકની જગ્યાએ બૉલ ચમકાવવા માટે બૉલર શું કૃત્રિમ પદાર્થ વાપરશે કે નહીં, આ વિશે બેઠકમાં ચર્ચા થશે.
ટી-20 વિશ્વ કપનું શું થશે?
ઇમેજ સ્રોત, NURPHOTO
આ વર્ષે ઑસ્ટ્રેલિયામાં ટી-20 વિશ્વ કપના સાતમાં સંસ્કરણનું આયોજન થવાનું છે. 18 ઑક્ટોબરથી 15 નવેમ્બર વચ્ચે વિશ્વ કપ સ્પર્ધા આયોજિત થવાની છે.
આમાં 16 ટીમો ભાગ લેવાની છે અને 45 મૅચ રમાશે. એડિલૅડ, બ્રિસબેન, ગૂલૉન્ગ, હોબાર્ટ, મેલબર્ન, પર્થ અને સિડની શહેરોમાં આ મૅચ થશે.
ભારતને ગ્રુપ બીમાં ઇંગ્લૅન્ડ, દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાનની સાથે સ્થાન આપવામાં આવ્યું છે.
આ ટૂર્નામેન્ટ આયોજિત કરવામાં કોવિડ-19 મહામારી એક મોટી સમસ્યા છે. મોટા ભાગની ટીમો, સ્પોર્ટસ્ટાફ, મૅચ અધિકારી, બ્રૉડકાસ્ટિંગ યુનિટના સ્વાસ્થ્યને લઈને ચિંતા વધી છે. અને હજી આંતરરાષ્ટ્રીય યાત્રા પર અનેક દેશોમાં પ્રતિબંધ છે.
એવી પણ શક્યતા છે કે મૅચ ખાલી સ્ટેડિયમમાં રમવામાં આવશે જે આ ટૂર્નામેન્ટની નાણાકીય સંરચનાને બાધિત કરશે.
એવું પણ અનુમાન છે કે આ સ્પર્ધા 2022 સુધી સ્થગિત કરવામાં આવે.
2021માં ટી-20 વિશ્વ કપનું આયોજન કરવાનો અધિકાર ભારત પાસે છે. આંતરરાષ્ટ્રીય કાર્યક્રમને જાળવી રાખવા માટે આ સ્પર્ધાને 2022 સુધી ખસેડવામાં આવી છે જેથી ઑસ્ટ્રેલિયા મેજબાન દેશ બનેલો રહે.
એવું પણ બની શકે કે ઑસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે મેજબાનીના અધિકારની અદલાબદલી કરી નાખવામાં આવે.
આઈપીએલનું શું થશે?
ઇમેજ સ્રોત, Getty Images
આઈસીસી જો ટી-20 વિશ્વ કપને સ્થગિત કરશે તો કોવિડ-19 મહામારીને કારણે લગભગ રદ થઈ ચૂકલી આઈપીએલની 13મી સીઝન માટે જગ્યા બની જાય.
દર વર્ષે એપ્રિલ અને મે મહિનામાં થનાર આઈપીએલ ક્રિકેટ જગતમાં ચર્ચામાં રહે છે. પૈસાનો વરસાદ કરનારી આ સ્પર્ધા રદ થવાથી ક્રિકેટના અર્થતંત્ર પર પણ અસર થઈ શકે છે.
ખાલી સ્ટેડિયમમાં મૅચ આયોજિત કરવાની અટકળો હતી પરંતુ તે બની ન શક્યું. જોકે ટી-20 વિશ્વ કપ સ્થગિત પણ થાય તો પણ આઈપીએલનું અયોજન શક્ય નહીં થાય.
આઈપીએલનું આયોજન ન્યૂઝીલૅન્ડ અથવા શ્રીલંકામાં કરાવવાનો વિકલ્પ છે જ્યાં કોવિડ-19નો પ્રકોપ સમાપ્ત જેવો છે પરંતુ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે ખતરો છે.
આઈપીએલને ભારતીય ક્રિકેટના અર્થતંત્ર માટે મહત્ત્વપૂર્ણ સ્તંભ કહેવામાં આવે છે જે લગભગ ચાર હજાર કરોડ રૂપિયાની છે.
એ સિવાય આઈસીસીના ચૅરમેનના પદ માટે નામાંકનની પ્રક્રિયાની જાહેરાત પણ થઈ શકે છે.
અત્યારે ભારતના શશાંક મનોહર આ પદ પર છે. આ પદ માટે ભારતમાંથી બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને પાકિસ્તાનથી અહેસાન મની, દક્ષિણ આફ્રીકાના ભૂતપૂર્વ કૅપ્ટન અને દક્ષિણ આફ્રીકા ક્રિકેટ બોર્ડના પ્રમુખ ગ્રીમ સ્મિથ અને ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન ડેવિડ ગોવરનું નામ ચર્ચાઈ રહ્યું છે.
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો