પુલવામા હુમલામાં જૈશ-એ-મોહમ્મદનો હાથ : NIA ચાર્જશીટ - TOP NEWS

ઇમેજ સ્રોત, EPA
હુમલાના સ્થળની ફાઇલ તસવીર
રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)એ ભારત પ્રશાસિત કાશ્મીરના પુલવામામાં થયેલા ચરમપંથી હુમલાની ચાર્જશીટ દાખલ કરી છે.
ચાર્જશીટ અનુસાર આ હુમલા પાછળ પાકિસ્તાનની ધરતી પર સક્રિય ચરમપંથી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો હાથ છે. જોકે પાકિસ્તાની સરકાર કે તેના કોઈ સંગઠનનું ચાર્જશીટમાં નામ નથી.
14 ફેબ્રુઆરી, 2019માં પુલવામામાં સીઆરપીએફના જવાનના કાફલાને ચરમપંથીઓએ વિસ્ફોટક ભરેલી ગાડી અથડાવી હતી, જેમાં 40થી વધુ જવાનનાં મૃત્યુ થયાં હતાં.
શ્રીનગરસ્થિત બીબીસી સંવાદદાતા રિયાઝ મશરૂર અનુસાર, એનઆઈએએ 13,800 પાનાંની ચાર્જશીટ દાખલ કરી છે.
ચાર્જશીટમાં 20 લોકોનાં નામ છે, જેમાં તેઓએ કાવતરું રચ્યું, રચવામાં મદદ કરી કે પછી એ કાવતરાનો અમલ કર્યો હોવાનો ઉલ્લેખ છે.
સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં ઠેર-ઠેર ભારે વરસાદની આગાહી
ઇમેજ સ્રોત, RAJESH AMBALIYA
ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં
ગુજરાતમાં પડેલા ધોધમાર વરસાદ વચ્ચે હજુ પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
ઇન્ડિયન એક્સપ્રેસે ભારતીય હવામાન વિભાગના હવાલાથી લખ્યું કે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં તારીખ 29થી 31 ઑગસ્ટની વચ્ચે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આગાહી અનુસાર, બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ થવાની સંભાવના છે.
તો ઇન્ડિયા ટુડે અનુસાર ગુજરાતમાં વરસાદને કારણે થયેલા અલગઅલગ બનાવોમાં 12 લોકોનાં મૃત્યુ થયાં છે. તેમજ 1400 લોકોનું સ્થળાંતર કરાયું છે.
અધિકારીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં વાર્ષિક સરેરાશ 106.78 ટકા વરસાદ થયો છે.
વરસાદને કારણે અનેક જગ્યાએ લોકો પાણીમાં ફસાયા હોવાના અહેવાલો મળ્યા હતા. તેમજ રસ્તાઓ ધોવાઈ જવાને કારણે લોકોને અવરજવર પણ બંધ કરવાની ફરજ પડી હતી.
વિદ્યાર્થીઓ અને વાલીઓ JEE-NEET પરીક્ષા ઇચ્છે છે - શિક્ષણમંત્રી
ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES
પ્રતીકાત્મક તસવીર
શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંકે કોરોના વાઇરસ મહામારી વચ્ચે એન્જિનિયરિંગ અને મેડિકલ પાઠ્યક્રમો માટે અખિલ ભારતીય પરીક્ષા આયોજન કરવાના નિર્ણયનો બચાવ કર્યો છે.
એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ અનુસાર, શિક્ષણમંત્રીએ કહ્યું કે પરીક્ષાના આયોજન માટે વિદ્યાર્થીઓ અને વાલીઓનું સતત દબાણ છે, લોકો ઇચ્છે છે કે પરીક્ષાનું આયોજન થાય.
જેઈઈ મેઇનની પરીક્ષા 1 સપ્ટમ્બેરથી 6 સપ્ટેમ્બર અને નીટની પરીક્ષા 13 સપ્ટેમ્બરે યોજાવાની છે.
ડીડી ન્યૂઝના આપેલા ઇન્ટરવ્યૂનો હવાલો આપીને લખવામાં આવ્યું કે જેઈઈ માટે ઉપસ્થિત થનારા 80 ટકા વિદ્યાર્થીઓએ પહેલેથી પ્રવેશકાર્ડ ડાઉનલૉડ કરી લીધા છે.
નિશંકે કહ્યું, "અમે માતાપિતા અને વિદ્યાર્થીઓના દબાવમાં છીએ, તેઓ પૂછી રહ્યા છે કે અમને જેઈઈ અને એનઈઈટીની પરવાનગી કેમ નથી આપતા. વિદ્યાર્થીઓ ઘણા ચિંતિત હતા. તેમના દિમાગમાં એ ચાલતું હતું કે તેઓ ક્યાં સુધી પરીક્ષાની તૈયારીઓ ચાલુ રાખશે?"
શિક્ષણમંત્રીએ કહ્યું કે "જેઈઈ માટે નોંધાયેલા 8.58 લાખ વિદ્યાર્થીઓમાંથી 7.25 લાખ ઉમેદવારોએ પોતાનું પ્રવેશકાર્ડ ડાઉનલોડ કરી લીધું છે.
સંસદનું ચોમાસુસત્ર 14 સપ્ટેમ્બરથી 1 ઑક્ટોબર સુધી
એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ અનુસાર કોરોના વાઇરસની મહામારીના સમયમાં સવારે એક સદનની અને બપોરે બીજા સદનની બેઠક થશે.
સંસદમાં રોજ ચાર કલાકનું એક સત્ર યોજાશે. તેમજ ચોમાસુસત્રમાં કુલ 18 બેઠકો મળશે.
સંસદની કાર્યવાહી કોઈ પણ રજા વિના ચાલશે એટલે કે શનિવારે અને રવિવારે પણ કાર્યવાહી ચાલશે.
સત્ર દરમિયાન કોરોના વાઇરસ મહામારીને કારણે કેટલીક સાવધાનીઓ પણ રાખવામાં આવશે. સાંસદો બંને સદનમાં બેસશે. લોકસભા અને રાજ્યસભાની ચેમ્બરોને કેબલથી જોડવામાં આવશે.
ઇમેજ સ્રોત, MohFW, GoI
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો