ભાવનગરમાં નિવૃત્ત ડીવાયએસપીના પુત્રના પરિવારની સામૂહિક આત્મહત્યા - પોલીસ

ઇમેજ સ્રોત, Hathisinh Chauhan
પૃથ્વીરાજસિંહ જાડેજા અને એમના પત્ની બીનાબા જાડેજા
ગુજરાતમાં ભાવનગર શહેરના પોશ વિસ્તાર ગણાતા વિજયરાજેનગરમાં નિવૃત્ત ડીવાયએસપીના પુત્રનો પરિવાર મૃત હાલતમાં મળી આવ્યો છે. પોલીસને કહેવા પ્રમાણે આ સામૂહિક આત્મહત્યાનો બનાવ છે.
(આત્મહત્યા એ એક ગંભીર મનૌવૈજ્ઞાનિક સામાજિક સમસ્યા છે. આપ જો કોઈ તણાવથી પરેશાન હો તો આપે નજીકના મિત્રો, સંબંધીઓને અને જરૂર પડ્યે મનોચિકિત્સકની મદદ લેવી જોઈએ. જો તમે ગુજરાતમાં હો તો તમે 24 કલાકની જીવન આશરા હેલ્પલાઇન 1800 233 3330 ઉપર કૉલ કરી શકો છો. આ ઉપરાંત તમે સાથ સંસ્થા દ્વારા સંચાલિત હેલ્પલાઇન પર +91 79 26305544 , +91 79 26300222 દિવસ દરમિયાન કૉલ કરી શકો છો. સમગ્ર દેશમાં કાર્યરત આશરા હેલ્પલાઇનનો નંબર 91-9820466726 છે જે 24 કલાક કાર્યરત હોય છે અને હિંદી અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે.)
પોલીસને મકાનમાંથી પૃથ્વીરાજસિંહ જાડેજા (45 વર્ષ), એમના પત્ની બીનાબા જાડેજા (38 વર્ષ) અને બે દીકરીઓ યશસ્વીબા જાડેજા (11 વર્ષ) તથા નંદિનીબા જાડેજા (15 વર્ષ) મૃત સ્થિતિમાં મળી આવ્યા છે.
આ ઉપરાંત પોલીસને પરિવારના પાલતું શ્વાન ટૉમીનો મૃતદેહ પણ મળી આવ્યો છે.
ઇમેજ સ્રોત, Hathisinh Chauhan
ઘટનાસ્થળ
સ્થાનિક પત્રકાર હઠીસિંહ ચૌહાણે આપેલી માહિતી મુજબ આ ઘટનામાં તમામ લોકોનું મૃત્યુ મૃતક પૃથ્વીરાજસિંહ જાડેજાની રાઇફલથી થયેલ ગોળીબારથી થયું છે.
સ્થાનિક પત્રકાર હઠીસિંહ ચૌહાણે બીબીસી ગુજરાતીને કહ્યું કે, પરિવારના વડા મૃતક પૃથ્વીરાજસિંહ જાડેજા સરકારી કૉન્ટ્રક્ટર હતા. એમણે આ પગલું લેવાની થોડીક મિનિટ અગાઉ જ અમૂક પરિચિતનો મેસેજ નાખી જાણકારી આપી હતી. જોકે, પરિચિતો ઘરે પહોંચ્યાં ત્યારે એમને ગોળીબારનો અવાજ સંભળાયો હતો.
ઇમેજ સ્રોત, Hathisinh Chauhan
ઘટનાસ્થળ પર તપાસ કરી રહેલી પોલીસ
પોલીસને પૃથ્વીરાજસિંહનો મૃતદેહ ઘરના પહેલે માળે સોફા પર મળી આવ્યો હતો તો એમના પત્ની બીનાબા જાડેજાનો મૃતદેહ રસોડા પાસે મળી આવ્યો હતો.
ડીવાયએસપી સફિન હસને જણાવ્યું હતું કે પૃથ્વીરાજસિંહે પહેલા પોતાના પાલતું શ્વાનને ગોળી મારી હતી. બાદમાં પોતાની પત્ની અને બે દીકરી સાથે મળી ગોળી માર્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
મળતી માહિતી મુજબ મૃતકના પિતા નિવૃત્ત ડીવાયએસપી છે અને આ ઘટના બની ત્યારે તેઓ ગામ ગયા હતા. મૃતકના પિતાને રાષ્ટ્રપતિ ચંદ્રક પણ એનાયત થયેલો છે.
પૃથ્વીરાજસિંહ જાડેજાનાં 15 વર્ષીય દીકરી નંદિનીબા પણ સ્ટેટ લેવલના રાઇફલ શૂટર હતા એમ સ્થાનિક પત્રકાર હઠીસિંહ ચૌહાણનું કહેવું છે.
જે રાઇફલથી આ ઘટના બની છે તે પૃથ્વીરાજસિંહ જાડેજાની પોતાની કહેવાઈ રહી છે. ડીવાયએસપી સફિન હસને જણાવ્યું પોલીસ એના પર પણ તપાસ કરી રહી છે.
હાલ આ ઘટનામાં એફએસએલની તપાસ ચાલી રહી છે.
ઇમેજ સ્રોત, MohFW, GoI
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો