શબનમ : આઝાદી પછી ભારતમાં ફાંસી ચઢનારાં પ્રથમ મહિલાને કયા કેસમાં સજા થઈ છે - ગ્રાઉન્ડ રિપોર્ટ

  • શહબાઝ અનવર
  • અમરોહાથી, બીબીસી માટે
શબનમ

ઇમેજ સ્રોત, SURAJ

ઇમેજ કૅપ્શન,

શબનમ

વાત છે પ્રેમ સંબંધોમાં અડચણ બનેલા સ્વજનોને કરવામાં આવેલી નફરતની. જેમાં એક જ રાતમાં સાત જિંદલીને ખતમ કરી દેવાઈ હતી. જ્યારે હકીકત સામે આવી તો સૌના રૂવાં ઊભાં થઈ ગયા.

શબનમે પહેલા પોતાના મા-બાપ, ભત્રીજા, બે ભાઈ, એક ભાભી અને પિતારાઈ બહેનને દૂધમાં નશીલો પદાર્થ પિવડાવી રાત્રે બેભેના અવસ્થામાં જ તેમને એક-એક કરીને કુહાડીથી મારી નાખ્યાં હતાં.

14 એપ્રિલ-2008ની એ તારીખ છે જેને પશ્ચિમ ઉત્તર પ્રદેશના અમરોહાના હસનપુર તાલુકાના ગામ બાનવખેડીનાં લોકો ઇચ્છીને પણ નથી ભૂલી શકતા.

શબનમના ઘરમાં અજુ-બાજુમાં સાત કબરો છે અને દીવાલ પર આજે પણ લોહીનાં ડાઘ એ ભયાનક હત્યાકાંડની યાદ અપાવે છે.

ઇમેજ સ્રોત, SHAHBAZ ANWAR/BBC

ગામના મોટાભાગના લોકોનું કહેવું છે કે શબનમને તેમના ગુનાની સજા પહેલા જ મળી જવી જોઈતી હતી.

પોલીસ તપાસ બાદ કહેવામાં આવ્યું કે ઘરના સભ્ય શબનમે પોતાના પ્રેમી સલીમ સાથે મળીને પિતા, માતા, બે ભાઈ, એક ભાભી, ભત્રીજો અને પિતરાઈ બહેનની હત્યા કરી દીધી હતી.

આ કેસમાં સુપ્રીમ કોર્ટે શબનમ અને સલીમ બંનેને ફાંસીની સજા સંભળાવી છે અને રાષ્ટ્રપતિએ દયાની ખારીજ કરી દીધી છે અને સજાને યથાવત રાખી છે.

શબનમના કાકા સત્તાર આ ઘટનાને યાદ કરીને વિચલિત થઈ જાય છે. તેઓ કહે છે, "શબનમને ફાંસીની સજા મળવામાં વિલંબ થઈ ગયો. તેણે જે ગુનો કર્યો તે માફીને લાયક નથી."

તેઓ કહે છે,"મારું અને શબનમના પિતા શૌકતના પરિવારનું કામકાજ સાથે સાથે જ હતું. શૌકત વર્ષ 2008માં પહેલા તાહરપુર રહેતા હતા. તેઓ ઇન્ટર કૉલેજમાં શિક્ષક હતા. બાદમાં તેમને બાવનખેડીમાં પોતાનું ઘર બનાવી લીધું હતું."

ઇમેજ સ્રોત, SHAHBAZ ANWAR/BBC

શબનમના પ્રેમ પ્રસંગ વિશે સત્તાર કહે છે,"શબનમ અને સલીમ વચ્ચે આ સંબંધ ખબર નથી ક્યારથી ચાલતો હતો. ઘટના બની એ દિવસે કેટલાક ગામવાળા તાહરપુર પહોંચ્યા અને મને આ હત્યાકાંડ વિશે જણાવ્યું. હું અને મારી પત્ની ત્યાં પહોંચ્યા તો ખૂબ જ સ્તબ્ધ થઈ ગયા. દૃશ્યો ડરાવી દે તેવા હતા. ત્યાં લાશો પડી હતી. તેમના માથા અને શરીર ફાટેલાં હતા. ભાઈ-ભાભી, કુંવારો ભત્રીજો, મોટો ભત્રીજો, અને તેની પત્ની-બાળકોની લાશો ત્યાં પડી હતી. કપાયેલી હાલતમાં."

સત્તારનાં પત્ની ફાતિમા પણ ત્યાં જ તેમના પાસે બેઠાં હતા. તેઓ વચ્ચે કહે છે,"અમે તો શૌકતને તેમની દીકરી વિશે પહેલાથી જ ચેતવ્યા હતા. પણ તેમણે વિશ્વાસ ન કર્યો."

ઘટનાને વર્ણવતા ફાતિમા કહે છે,"જ્યારે અમે બાનવખેડી પહોંચ્યા તો ત્યાં પગ મૂકવાની પણ જગ્યા નહોતી. જ્યારે મૃતદેહોને એક એક કરીને બહાર લાવવામાં આવ્યા તો અમારું હૃદય કંપી ઊઠ્યું. શબનમે તમામને કુહાડીથી કાપી નાખ્યા હતા. જોકે કોઈને એ સમયે ખબર જ નહોતી કે જે શબનમ રડી રહી છે, તેણે જ હત્યા કરી છે."

એ સમયે શબનમે કહ્યું હતું કે ઘર પર હુમલો થયો છે પરંતુ પાછળથી પોલીસ તપાસમાં બધું બહાર આવ્યું.

ઇમેજ સ્રોત, SHAHBAZ ANWAR/BBC

સત્તાર કહે છે,"શબમને આ હત્યાકાંડમાં પોતાની સંબંધી ભાઈને ફસાવવાની કોશિશ કરી હતી. તે ઇચ્છતી હતા કે તે પિતાની સંપત્તિના હકદાર બનીને સલીમ સાથે રહે પરંતુ આવું થયું નહીં અને તે પકડાઈ ગઈ."

શબનમના કાકાએ જણાવ્યું કે તેમના ઘરે દરરોજ એક કિલો દૂધ આવતું હતું. પરંતુ ઘટના બની એ દિવસે તેમણે બે કિલો દૂધ લીધું હતું. તેમણે દૂધમાં કંઈક નશીલો પદાર્થ ભેળવીને સૌને પિવડાવી દીધો હતો.

પોલીસ તપાસમાં ખબર પડી કે શબનમ સલીમ સાથે જ્યારે ઘરમાં ગઈ ત્યારે તમામ લોકો નશામાં બેભાન હતા. ઘટના સમયે સલીમ તેમની સાથે હતો પરંતુ સાતેય પર કુહાડી શબનમે ચલાવી હતી. હત્યામાં શબનમને સાથ આપવા અને ષડયંત્ર કરવાના ગુનામાં અદાલતે સલીમને પણ મોતની સજા ફટકારી.

બાવનખેડીના આ હત્યાકાંડ પછી 12 વર્ષો બાદ પણ આ ગામમાં આની ચર્ચા થાય છે.

દૃશ્ય ડરામણા હતા

ઇમેજ સ્રોત, SHAHBAZ ANWAR/BBC

બાનવખેડીના શહઝાદ ખાં ઘટના બાદ રાત્રે જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

તેમણે બીબીસીને જણાવ્યું,"રાત્રે વરસાદ શરૂ થઈ ગયો હતો. બહાર સૂઈ રહેલા લોકો અંદર જવા લાગ્યા હતા. જ્યારે લોકો પોતાની પથારીઓ અંદર લઈ જઈ રહ્યા હતા ત્યારે ત્યાં ઘોંઘાટ થવા લાગ્યો."

શહઝાદ અને તેમના પરિવારવાળા ત્યાં પહોંચ્યા તો દૃશ્યો જોઈને સ્તબ્ધ રહી ગયા. ત્યાં સાત લાશો પડી હતી અને શબનમ રડી રહી હતી. ગામના યુવા અફજાલ ખાને પણ જણાવ્યું કે તેઓ પણ ઘટના પછી ઘટનાસ્થળે પહોંચ્યા હતા, અને તેમણે પણ આ તમામ દૃશ્યો જોયા હતા.

દરમિયાન ગામના એક વડીલ રિયાસત કહે છે,"ઘટનાની રાત્રે બે વાગ્યે અમે ત્યાં પહોંચ્યા હતા. સામે દૃશ્યો જોઈએ અમારા પગ ધ્રુજવા લાગ્યા હતા. અમારાથી રોકાવાયું નહીં અને અમે પરત આવી ગયા."

શબનમ અને સલીમના સંબંધો

ઇમેજ સ્રોત, SHAHBAZ ANWAR/BBC

ગામના લોકોએ જણાવ્યું કે શબનમ, સલીમને પ્રેમ કરી હતી અને તેમના પરિવારને આ પંસંદ નહોતું. આ જ વાત પરિવાર અને શબનમ વચ્ચે તકરારનું કારણ હતી.

પરિવારના વાંધાનું કારણ એ હતું કે શબનમનો પરિવાર શિક્ષિત હતો અને સમૃદ્ધ હતો. શબનમ ખુદ એમ. એ સુધી ભણ્યા હતા. જ્યારે સલીમની સામાજિક અને આર્થિક પૃષ્ઠભૂમિ આવી નહોતી. તેઓ શિક્ષિત નહોતા અને રોજીરોટી માટે લાકડાં ચીરવાનું આરી મશીન ચલાવતા હતા.

ઘટના સમયે સલીમની ઉંમર 25 વર્ષ અને શબનમની ઉંમર 27 વર્ષની હતી. હવે શબનમની ઉંમર 39 વર્ષ છે.

સલીમના એક મિત્ર જણાવે છે કે તેમણે સલીમ સાથે મળીને વેપાર પણ કર્યો છે પરંતુ સલીમે ક્યારેય વાતચીતમાં શબનમનો ઉલ્લેખ નહોતો કર્યો.

ગામના લોકોએ જણાવ્યું કે શબનમના પરિવારને આ બંનેના સંબંધોથી સખત વાંધો હતો. પોતોના છેલ્લા દિવસોમાં શબનમના દાદાએ શબનમના હાથનું ખાવાનું પણ બંધ કરી દીધું હતું.

શબનમના સલીમ સાથેના પ્રેમ સંબંધોની જાણકારી તેમના નાના ભાઈ રાશિદને પણ થઈ ગઈ હતી. ગામના લોકો કહે છે કે રાશિદે નારાજ થઈને એક વાર શબનમને થપ્પડ મારી દીધો હતો.

સલીમના પાડોસમાં રહેતા મહમૂના તેમના વિશે કહે છે,"છોકરો બરાબર હતો. કોઈ સામે નજર ઊંચી કરી જોતો પણ નહોતો. હવે શું કહીએ? સરકાર જ ન્યાય કરી શકે છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો