અહેમદ પટેલ કોના નેતા? ગુજરાતના, કોંગ્રેસના કે મુસ્લિમોના?
- રજનીશ કુમાર
- બીબીસી સંવાદદાતા, પીરામણ (ભરૂચ-ગુજરાત)

'અહેમદ પટેલ જો મોટા વ્યૂહરચનાકાર હોય તો કોંગ્રેસ ગુજરાતમાં શા માટે માત મેળવી રહી છે?'
અહેમદ પટેલ મોટાભાગે દિલ્હીમાં રહે છે અથવા તો તેમના ગામ પીરામણમાં રહે છે. પીરામણ એ કોઈ અંતરિયાળ ગામ નથી, જ્યાં પહોંચવા માટે મુશ્કેલીઓ વેઠવી પડે.
અમદાવાદથી ભરૂચની ત્રણ કલાકની મુસાફરી ખેડ્યા બાદ ભરૂચથી પીરામણ પહોંચવા માટે મેં એક કલાકની મુસાફરી કરી હતી. અહેમદ પટેલના ગામે પહોંચ્યા બાદ એવું લાગતું નથી કે તે કોઈ ગામડું હોય.
જો તમારા સ્મૃતિપટ ગામડાં વિશે ખેતર અને ઘરના દૃશ્યો હશે તો તમે પીરામણ જઈને ચોક્કસપણે નિરાશ થશો. મેં ગ્રામજનો સાથે વાતચીત કરી હતી. તેમાંથી કોઈએ પણ અહેમદ પટેલ વિશે ફરિયાદ નહોતી કરી.
ગ્રામજન હિંદુ હોય કે મુસ્લિમ, બધાની જીભે 'અહેમદભાઈ'નું નામ છે. તેમના ગામની નજીકમાં અંકલેશ્વર શહેર આવેલું છે.
તમને આ પણ વાંચવું ગમશે
અંકલેશ્વરમાં 26 પારસી પરિવારો રહે છે. એવું માનવામાં આવે છે કે પારસી પરિવારો પરંપરાગત રીતે કોંગ્રેસના સમર્થક છે.

'અહેદભાઈ બધા લોકોના નેતા'

'પીરામણમાં ગયા બાદ લાગતું નથી કે તે કોઈ ગામડું હોય'
ભરૂચ ઇંદિરા ગાંધીના પતિ ફિરોઝ ગાંધીનું જન્મસ્થળ હોવાનું કહેવાય છે. જોકે, એ બાબતે કોઈ નક્કર પુરાવાઓ કે સમર્થન મળતું નથી.
ભરૂચની 'એમ.કે. કૉલેજ ઑફ કૉમર્સ'ના પૂર્વ આચાર્ય બોમિન કોવિન પારસી સમુદાયના છે, તેઓ હાલ અંકલેશ્વરમાં રહે છે.
તેઓ કહે છે કે ફિરોઝ ગાંધીનો જન્મ મુંબઈ(અગાઉનું બોમ્બે)માં થયો હતો અને તેમના નાનાનું ઘર ભરૂચમાં હતું.
બોમિન કોવિનને એ વાતની ખુશી છે કે તેમની ત્રણેય દીકરીઓએ પારસી યુવકો સાથે જ લગ્ન કર્યાં છે.

ઇમેજ સ્રોત, Getty Images
ભરૂચ ઇંદિરા ગાંધીના પતિ ફિરોઝ ગાંધીનું જન્મસ્થળ હોવાનું કહેવાય છે
તેઓ ચિંતા વ્યક્ત કરી રહ્યા હતાં કે ગુજરાતમાં છેલ્લાં ત્રીસ વર્ષમાં ઘણી પારસી યુવતીઓએ મુસ્લિમ યુવકો સાથે લગ્ન કર્યાં છે.
જોકે, તેઓ અહેમદ પટેલના કામથી ખુશ છે અને કહે છે, "અહેમદભાઈએ માત્ર કોઈ એક સમુદાયના નેતા નથી, પરંતુ બધા લોકોના નેતા છે."
બોમિને એમ પણ કહ્યું કે વર્ષ 2002નાં રમખાણોમાં તેમણે પોતાના ઘરમાં ત્રણ મુસ્લિમ પરિવારોને આશરો આપ્યો હતો અને જરૂર પડ્યે મદદ માટે ફાયર બ્રિગેડને પણ બોલાવી હતી.
બોમિનના જણાવ્યા અનુસાર, "જ્યારે ફાયર બ્રિગેડને એ વાતનો અંદાજો આવ્યો કે આગની લપેટમાં આવેલા મકાનો મુસ્લિમોના હતા ત્યારે તેઓ પરત જતા રહ્યા હતા."

'2002ના રમખાણોનો ખૂલીને વિરોધ ન કર્યો'

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2002ના રમખાણો મુદ્દે અહેમદ પટેલ ખૂલીને સામે ન આવ્યા હોવાનું માનવામાં આવે છે
એક વાત સામાન્ય રીતે ઘણાં વર્તુળોમાં ચર્ચાય છે કે વર્ષ 2002માં ગુજરાતમાં કોમી રમખાણો થયા ત્યારે અહેમદ પટેલે તેનો ખૂલીને વિરોધ કરવાની જરૂર હતી. તેઓ આ મુદ્દે ખૂલીને સામે નહોતા આવ્યા.
ભરૂચના વરિષ્ઠ પત્રકાર હરીશ જોશી કહે છે, "જ્યારે તમે કોઈ નોંધપાત્ર સ્તરે પહોંચી જાવ છો ત્યારે તમે કોઈ ચોક્કસ કોમ સાથેની તમારી ઓળખ સાથે જ નથી રહેવા માગતા."
"જો કે તેમણે રમખાણોની ખૂબ નિંદા કરી હતી અને નિવેદન પણ આપ્યું હતું."
હરીશ જોશી કહે છે કે અહેમદ પટેલના કિસ્સામાં તેમની વ્યક્તિગત પ્રતિબદ્ધતા વધુ મહત્વની છે.
જોશી કહે છે, "અહેમદ પટેલની ઓળખ ભલે કોંગ્રેસના એક સારાં વ્યૂહરચનાકાર તરીકેની હોય, પરંતુ ગુજરાતમાં તેમની વ્યૂહરચના ગુજરાતમાં નિષ્ફળ નીવડી છે.
"જો તેઓ તેમની વ્યૂહરચનાને ધ્યાનથી જુએ તો સમજાશે કે તેમની રણનીતિનો ગુજરાતને કોઈ ફાયદો નથી થયો.
"તેઓ પોતાની રણનીતિને પક્ષના કાર્યકરો સુધી પહોંચાડી શકે છે કે નહીં તે જ મોટો પ્રશ્ન છે.
"જો તમે વર્ષ 2002 પછીની ગુજરાતની પરિસ્થિતિનો અભ્યાસ કરશો તો જાણવા મળશે કે ભાજપે કેવી રીતે સંગઠનાત્મક વ્યૂહરચના હેઠળ કામગીરી કરી.
"જ્યારે અહેમદ પટેલ આ વ્યૂહરચના સામેની રણનીતિ ઘડવામાં નિષ્ફળ રહ્યા."

ગુજરાત, કોંગ્રેસ કે મુસ્લિમ - અહેમદ પટેલ કોના નેતા?

ઇમેજ સ્રોત, Getty Images
ગ્રામજન હિંદુ હોય કે મુસ્લિમ, બધાની જીભે 'અહેમદભાઈ'નું નામ છે
ભાજપે અહેમદ પટેલના રાજ્યસભા પ્રવેશમાં ખલેલ પહોંચાડવા પ્રયત્નો કર્યા હતા, પરંતુ તે પરિસ્થિતિમાં અહેમદ પટેલની રણનીતિ ભાજપના ઇરાદાઓ પર ભારે પડી હતી.
હરીશ જોશી કહે છે, "અહીં ભાજપને અહેમદ પટેલ સાથે કોઈ અંગત સમસ્યા નથી, પરંતુ કોંગ્રેસને ઉથલાવવાની વ્યૂહરચનાના ભાગરૂપે આ એક મોટો રાજકીય જુગાર હતો."
'શું અહેમદ પટેલ ગુજરાતનાં મોટા નેતા છે, મુસ્લિમોના નેતા છે કે કે પછી કોંગ્રેસના નેતા?'
અમદાવાદના એક વરિષ્ઠ પત્રકાર દર્શન દેસાઈ કહે છે, " અહેમદ પટેલ પડદા પાછળ રહી રણનીતિ ઘડવામાં માહિર છે અને તેવા નેતાની દરેક પક્ષને જરૂર હોય છે.
"અહેમદ પટેલ યુ.પી.એ-1 અને યુ.પી.એ-2ની સરકાર દરમિયાન મુખ્ય યોગદાન આપનારાં નેતાઓ પૈકીના એક નેતા છે.
"જ્યારે સી.પી.એમ.એ પહેલી યુપીએ સરકારને આપેલું સમર્થન પાછું ખેંચ્યું, ત્યારે સરકારને બચાવવામાં સૌથી મોટી ભૂમિકા અહેમદ પટેલે ભજવી હતી."

ગુજરાતમાં રણનીતિ શા માટે નિષ્ફળ?

ઇમેજ સ્રોત, Getty Images
'અહેમદ પટેલના કિસ્સામાં તેમની વ્યક્તિગત પ્રતિબદ્ધતા વધુ મહત્વની છે'
સવાલ એ છે કે અહેમદ પટેલ જો મોટા વ્યૂહરચનાકાર હોય તો કોંગ્રેસ ગુજરાતમાં શા માટે છેલ્લાં 22 વર્ષથી માત ખાઈ રહી છે.
દર્શન દેસાઈ આ મુદ્દે કહે છે, "ગુજરાતમાં કોઈની રણનીતિ કામ નથી કરતી. તેમાં પણ સાંપ્રદાયિક ધ્રુવીકરણનું વાતાવરણ પૂરજોશમાં હોય અને તમારું નામ અહેમદ પટેલ હોય."
"કોમી રમખાણો સમયે અહેમદ પટેલની ભૂમિકાની વાત કરવામાં આવે તો હું માનું છું કે એક વિપક્ષ તરીકે કોંગ્રેસે જે કામ કરવું જોઈએ તે નથી કર્યું."
દર્શન દેસાઈ કહે છે, "ના, મુસ્લિમો અહેમદ પટેલને તેમના નેતાના રૂપે નથી જોતા. બીજી તરફ અહેમદ પટેલ પણ પોતાને મુસ્લિમ નેતા નથી માનતા."
"તેમનું સૌથી મજબૂત પાસું એ છે કે તેઓ પોતાની જાતને લોકપ્રિયતાથી દૂર રાખે છે. અહેમદ પટેલ પોતાના વિરોધીઓની પણ મદદ કરે છે છતાં પણ તેઓ આ વાતનો શ્રેય નથી લેતા.
દર્શન દેસાઈ કહે છે કે અહેમદ પટેલ જે દિવસે ખુલ્લેઆમ મુસ્લિમોને સંબોધશે તે દિવસે ગુજરાતમાં સાંપ્રદાયિક રાજકારણની જમીન વધુ ફળદ્રુપ બનશે.
કદાચ આ ડરના કારણે તેઓ ખૂલીને આ મુદ્દે સામે નથી આવતા.

'અહેમદ પટેલ વફાદારોથી ઘેરાયેલા એક નેતા છે'

ઇમેજ સ્રોત, Getty Images
'અહેમદ પટેલ વફાદારોથી ઘેરાયેલe એક નેતા છે'
અમદાવાદમાં 'સીપીએમ સેન્ટ્રલ કમિટિ'ના સભ્ય અરુણ મહેતા અહેમદ પટેલનું આકલન જરાં જુદી રીતે કરે છે.
અરુણ મહેતા કહે છે, "અહેમદ પટેલનો પાયાના રાજકારણ સાથે કોઈ સંબંધ નથી. તેઓ માને છે કે લોકો સુધી વ્યક્તિગત સહાય પહોંચતી કરવી એ જ પૂરતું છે.
"એક વાક્યમાં આ મુદ્દે ટિપ્પણી કરું તો હું એટલું કહીશ કે અહેમદ પટેલ વફાદારોથી ઘેરાયેલા એક નેતા છે."
મહેતાએ કહ્યું, "હવે કોંગ્રેસમાં ત્રણ જૂથો છે. અહેમદ પટેલે ગુજરાતમાં કોંગ્રેસને ક્યારેય એકજૂઠ નથી થવા દીધી. તેઓ હવે શક્તિસિંહ ગોહિલના જૂથને પ્રોત્સાહન આપી રહ્યા છે.
"બીજું જૂથ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીનું છે અને ત્રીજું જૂથ સિદ્ધાર્થ પટેલનું છે."
ભરૂચ 80 ના દાયકામાં કોંગ્રેસનો ગઢ હતો. અહેમદ પટેલ અહીંથી ત્રણ વખત લોકસભાના સાંસદ રહ્યા છે. વર્ષ 1984 માં કોંગ્રેસના સંયુક્ત સચિવ તરીકે તેઓ દિલ્હી ગયા હતા.
પક્ષમાં તેમને ટૂંક સમયમાં પ્રમોશન મળ્યું અને તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીના સંસદીય સચિવ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી.

ગાંધી પરિવારના વિશ્વાસુ

ઇમેજ સ્રોત, Getty Images
અહેમદ પટેલ સાથેની કરૂણાંતિકા એ છે કે તેઓ કોંગ્રેસ દ્વારા ગુજરાતની ખોવાયેલી જમીન પાછી નથી આપી શકતા
વર્ષ 1986માં અહેમદ પટેલની ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
વર્ષ 1988માં તેઓ ગાંધી-નહેરુ પરિવાર દ્વારા સંચાલિત 'જવાહર ભવન ટ્રસ્ટ'ના સચિવ બન્યા. આ ટ્રસ્ટ સામાજિક કાર્યક્રમો માટે ભંડોળ પૂરું પાડે છે.
તેઓ રાજીવ ગાંધીના જેટલાં વિશ્વાસુ હતા તેટલાં જ તેઓ આજની તારીખે સોનિયા ગાંધીનાં વિશ્વાસુ છે.
21 ઓગસ્ટ 1949ના રોજ તેમનો જન્મ પીરામણના મોહમ્મદ ઇશાક પટેલ અને હવાબહેન પટેલનાં પુત્ર તરીકે થયો હતો.
પીરામણના કેટલાંક વૃદ્ધો સાથે વાત કરી, ત્યારે જાણવા મળ્યું કે તેઓ બાળપણથી જ વિનમ્ર અને શિસ્તબદ્ધ હતા.
પીરામણના મહેશભાઈ મહેતા એ કહ્યું હતું, "અહેમદભાઈ જ્યારે ઘરેથી નીકળે ત્યારે સૌના ખબરઅંતર પૂછતા હોય છે. અમે તેમની દિલ્હીથી પરત આવવાની રાહ જોતા હોઇએ છીએ."

ઇમેજ સ્રોત, Getty Images
''પટેલ' એ જ્ઞાતિ દર્શાવતી અટક નથી પરંતુ હોદ્દો દર્શાવે છે'
ભરૂચ કૉંગ્રેસના પ્રવક્તા નાજુભાઇએ જણાવે છે કે અહેમદ પટેલ નમાઝ પઢવાનું ક્યારેય ભૂલતા નથી તથા તેમના ગામના મંદિરોમાં દાન અને સમારકામ કરાવવા માટે પણ કોઈ કસર છોડતા નથી.
મેં ગુજરાત યુનિવર્સિટીના સામાજિક વિજ્ઞાનના અધ્યાપક પ્રોફેસર ગૌરાંગ જાનીને પૂછ્યું, "શા માટે ગુજરાતમાં કેટલાંક મુસ્લિમોની અટકમાં 'પટેલ' લગાવવામાં આવે છે?"
ગૌરાંગ જાનીએ કહ્યું, "'પટેલ' એ જ્ઞાતિ દર્શાવતી અટક નથી, પરંતુ હોદ્દો દર્શાવે છે. ગામના વડાને 'પટેલ' કહેવામાં આવે છે. અહેમદ પટેલના કિસ્સામાં પણ આવું જ છે. આ બાબતને હિંદુ કે મુસ્લિમ હોવા સાથે કોઈ સંબંધ નથી."
અહેમદ પટેલ સાથે વિટંબણા એ છે કે તેઓ કોંગ્રેસે ગુજરાતમાં ગુમાવેલું પ્રભુત્વ પાછું નથી અપાવી શકતા. તેમના સ્થાનિક વિસ્તાર ભરૂચમાં પણ કોંગ્રેસ લોકસભાની ચાર ચૂંટણીઓ હારી ચૂકી છે.
વર્ષ 2012ની વિધાનસભાચૂંટણીઓમાં, કોંગ્રેસ ભરૂચ જિલ્લાની પાંચ બેઠકોમાં કોઈ પણ બેઠક નહોતી જીતી શકી.
આવું થવાનું કારણ એ છે કે અહેમદ પટેલ તેમની પસંદગીના ઉમેદવારોને ટિકિટ અપાવે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો