ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટતા વધુ એક સુનામીની આશંકા, મરણાંક 281, 1016 ઘાયલ

ઇમેજ સ્રોત, Getty Images
ઇન્ડોનેશિયાના સુંડા સ્ટ્રેટ (ખાડી)ની આસપાસ કાંઠાળ વિસ્તારોમાં સુનામીને લીધે 281 લોકો માર્યા ગયા છે અને 1,016 લોકો ઘાયલ થયા છે.
ઇન્ડોનેશિયાની આપત્તિ વ્યવસ્થાપન એજન્સીનું કહેવું છે કે "અનેક ઇમારતોને નુક્સાન પહોંચ્યુ છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે."
એવું અનુમાન લગાવાઈ રહ્યું છે કે ક્રેકાટોઓ જવાળામુખી ફાટતા દરિયાની અંદર થયેલા ભૂસ્ખલનને કારણે સુનામી આવી છે.
જોકે, જ્વાળામુખીની સક્રિયતાને જોતાં વધુ એક સુનામીની આશંકા સેવવામાં આવે છે અને લોકોને કિનારાના વિસ્તારથી દૂર રહેવા લોકોને ચેતવણી આપવાામાં આવી છે.
ઇમેજ સ્રોત, AFP/GETTY IMAGES
અનેક ઘરો પત્તાના મહેલની જેમ તૂટી પડ્યાં
જાવા અને સુમાત્રા ટાપુઓની વચ્ચે સુંડા સ્ટ્રેટ છે અને તે જાવા સમુદ્રને હિંદ મહાસાગર સાથે જોડે છે.
સૌથી વધારે મોત પંડેગ્લાંગ, દક્ષિણી લાપુંગ અને સેરાંગ જેવા પર્યટક વિસ્તારોમાં થઈ છે.
આપત્તિ વ્યવસ્થાપન એજન્સીનું કહેવું છે કે મરનાર લોકોનો આંકડો હજી વધી શકે છે.
નૉર્વેના ફોટોગ્રાફર ઓયેસ્ટઇન લુંદ ઍન્ડરસન પશ્ચિમ જાવાના અનયેર ટાપુ પર છે.
એમનું કહેવું છે કે "હું બીચ પર હતો. હું એકલો હતો અને મારા પરિવારના લોકો એક ઓરડામાં સૂઈ રહ્યા હતા. હું ક્રેકાટોઆ જ્વાળામુખીની તસવીરો લેવાની કોશિશ કરી રહ્યો હતો."
"ગઈકાલે સાંજથી જ જ્વાળામુખીનો માહોલ બની રહ્યો હતો. દરિયાકાંઠે એવું નહોતું લાગી રહ્યું કે સુનામી આવશે."
ઇમેજ સ્રોત, BNPB
ઇન્ડોનેશિયાની ડિઝાસ્ટર મૅનેજમેન્ટ એજન્સી દ્વારા જાહેર કરાયેલી તસવીર
ઍન્ડરસન આગળ કહે છે, "કાંઠે અંધારું હતું અને મે અચાનક જોયું કે મોજાંઓ ઊઠવા લાગ્યાં છે. હું ત્યાંથી ભાગ્યો. ત્યાં બે મોટા મોજાઓ હતાં. પહેલું મોજું મજબૂત નહોતું."
"જ્યાં મારાં પત્ની અને બાળકો સૂતાં હતાં એ હોટલ તરફ હું ભાગ્યો. મે એમને જગાડ્યાં અને મે સુનામીનો અવાજ સાંભળ્યો."
તેઓ કહે છે, "મેં બારીમાંથી જોયું તો બીજું મોજું કાંઠે અથડાઈ ચૂક્યું હતું. એ ખૂબ મોટું હતું અને હોટલની બહાર ઊભેલી ગાડીઓને પોતાની સાથે લઈ ગયું.
"અમે લોકો અન્ય લોકોની સાથે હોટલની બીજી તરફ ઊંચી જગ્યા તરફ ભાગ્યા. હાલ અમે લોકો એક પહાડ પર છીએ."
સુનામી શું છે?
ઇમેજ સ્રોત, GALLO IMAGES/ORBITAL HORIZON/COPERNICUS SEN
દરિયાની અંદર અચાનક જયારે ઝડપી હલચલ થાય ત્યારે એમાં તોફાન ઊઠે છે.
આને લીધે લાંબી અને ઊંચી લહેરોનો જથ્થો ઊભો થવાની શરુઆત થાય છે અને તે ખૂબ જ ઝડપથી આગળ વધતો કાંઠા તરફ આવે છે.
આવી ભયાવહ તોફાની લહેરોને સુનામી કહેવામાં આવે છે. મૂળે સુનામી જપાનીઝ શબ્દ છે જે સૂ અને નામી શબ્દોને બનેલો છે.
સૂનો અર્થ દરિયાકાંઠો થાય છે અને નામીનો અર્થ દરિયાનું મોજું થાય છે.
અગાઉ સુનામીને દરિયાનાં મોજાં તરીકે જોવામાં આવતી હતી પણ એવું નથી.
ખરેખર તો દરિયામાં મોજાં ચંદ્ર-સૂરજ અને ગ્રહોનાં ગુરુત્વાકર્ષણની અસરથી ઊઠે છે, પરંતુ સુનામી મોજાં સામાન્ય મોજાં કરતાં અલગ હોય છે.
કેવી રીતે ઊઠે છે સુનામીનાંમોજાં?
ઇમેજ સ્રોત, Getty Images
સુનામી પાછળ અનેક કારણો હોય છે પણ સૌથી અસરકારક કારણ એ ભૂકંપ છે. આ સિવાય ભૂસ્ખલન, જવાળામુખીનું ફાટવું, કોઈ વિસ્ફોટ થવો અને કયારેક ઉલ્કાપાતના લીધે પણ સુનામી આવે છે.
સુનામીનાં મોજાઓ દરિયાકાંઠે જબરદસ્ત હુમલો કરે છે અને જાન-માલની મોટી ખુવારી થાય છે.
શું સુનામીની ભવિષ્યવાણી સંભવ છે?
જેવી રીતે વિજ્ઞાન હજી ભૂકંપ વિશે ભવિષ્યવાણી નથી કરી શકતું, એવી જ રીતે તે સુનામી બાબતે પણ આગોતરી માહિતી નથી આપી શકતું.
પરંતુ, સુનામીના અત્યાર સુધીનાં રેકર્ડ્સ જોઈને અને મહાદ્વીપોની સ્થિતિને સમજીને થોડોક અંદાજ લગાવી શકાય છે.
ધરતીના પેટાળમાં પ્લેટ્સ જ્યાં-જ્યાં મળે છે તેની આસપાસના દરિયામાં સુનામીની શક્યતાઓ વધારે હોય છે.
તમે આ વાંચ્યું કે નહીં?
ભૂકંપથી કેવી રીતે સુનામી સર્જાય છે?
જ્યારે પણ ભયાનક ભૂકંપને લીધે દરિયાની ઉપરની પરત અચાનક ખસીને આગળ વધી જાય છે ત્યારે દરિયો પોતાની સમાંતર સ્થિતિમાં ઉપરની તરફ આગળ વધે છે.
જે મોજાઓ એ વખતે સર્જાય છે એ સુનામી મોજાઓ હોય છે.
આનું એક ઉદાહરણ એ થઈ શકે કે ધરતીની ઉપરની પરત ફૂટબોલની અનેકવિધ પરતોની જેમ જોડાયેલી છે અથવા તો કહો કે એ એક ઈંડા જેવી છે જેમાં કોઈ તિરાડ ન હોય.
ઈંડાની પરત સખત હોય છે પરંતુ તેની અંદરનો પદાર્થ ઢીલો અને ભીનો હોય છે.
ભૂકંપને લીધે આ તિરાડો પહોળી થઈને અંદરનાં પદાર્થમાં એટલી હલચલ પેદા કરે છે કે તે ઉપરની તરફ વળે છે.
ધરતીની પરતો જયારે કોઈપણ અસરથી પહોળી થાય છે અને ખસે છે ત્યારે મહાદ્વીપ બને છે. એ જ રીતે સુનામીનાં મોજાં બને છે.
પરંતુ દરેક ભૂકંપ સુનામી નોતરે એવું જરુરી પણ નથી. એના માટે ભૂંકપનું કેન્દ્ર દરિયાની ભીતર કે તેની આસપાસ હોવું જરુરી છે.
કિનારા પર શું અસર થાય છે?
ઇમેજ સ્રોત, Getty Images
જયારે સુનામીનાં મોજાંઓ કોઈ મહાદ્વીપ જે બીજા મહાદ્વીપ સાથે જોડાયેલો હોય તેની પરનાં પાણી સુધી પહોંચે છે, તો તેની ઝડપ ઘટી જાય છે.
આવું એટલા માટે થાય છે કે ત્યાં બીજો મહાદ્વીપ પણ જોડાયેલો છે અને ધરતીની અંદર જોડાયેલી પરતને લીધે તિરાડ જેવી એ જગ્યા હોય છે, જે પાણીને અંદરનો રસ્તો આપે છે.
પરંતુ, ત્યારબાદ એ ભીતરનાં પાણીને મળીને સુનામી કાંઠા તરફ વધે છે ત્યારે એનામાં એટલી ઝડપ હોય છે કે તે 30 મીટર સુધી ઊંચે ઉઠી શકે છે અને એના રસ્તામાં જંગલ, ઇમારત કે જે કંઈપણ આવે એને તબાહ કરી નાખે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો