નરેન્દ્ર મોદી અને નવીન પટનાયક વચ્ચે કલિંગની ધરતી પર જબરદસ્ત ટક્કર

  • નીતિન શ્રીવાસ્તવ
  • બીબીસી સંવાદદાતા, ભૂવનેશ્વરથી
નવીન પટનાયકનીતસવીર
ઇમેજ કૅપ્શન,

ગત બે વર્ષ દરમિયાન નવીન પટનાયકે વ્યૂહરચના બદલી

2018મા ભારતના ઓડિશા ખાતે હોકી મેચ આયોજિત કરવામાં આવી હતી, ત્યારે રાજ્યના મુખ્ય મંત્રી નવીન પટનાયકે દર્શકોને 'જુમલો' આપ્યો.

"આપણ માને ખુશી તૌ?" (શું તમે લોકો ખુશ છો?)

જ્યારે ભીડે જવાબ આપ્યો, "હા, હા"

નવીને જવાબ આપ્યો, "મૂ બી બહુત ખુશ" (હું પણ ખૂબ ખુશ છું.)

આ રીતે નવીન પટનાયક લોકોના મનની ઇચ્છા જાણવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને જનતા સાથેનું તાદાત્મ્ય પણ સ્થાપિત કરવા માગતા હતા.

પરિવર્તનનો પ્રવાહ

ઇમેજ કૅપ્શન,

માનસ માને છે કે આ વખતે નવીન પટનાયક માટે પડકાર હશે

આ ઘટના ઘટી એના અમુક મહિના પહેલાં એક દિવસ રસ્તા ઉપર ફ્રૂટની લારી પાસે વૈભવી કાર ઊભી રહી.

કારમાં બેઠેલી વ્યક્તિને જોઈને તરબૂચ-પપૈયા વેચનારો ફેરિયો ચકિત થઈ ગયો. અંદર બેઠેલા નવીન પટનાયકે લગભગ 10 મિનિટ સુધી તેની સાથે વાતચીત કરી.

આ ઘટનાના અમુક મહિના પૂર્વે ભૂવનેશ્વરના પ્રખ્યાત બુક સ્ટોલમાં નવીન તથા તેમના પત્રકાર-લેખિકા બહેન ગીતા મહેતા પહોંચ્યાં હતાં.

એ સમયે બુક સ્ટોલ ઉપર કેટલાક યુવક-યુવતીઓ પહેલાંથી જ હાજર હતાં, તેમણે ખચકાતાં-ખચકાતાં સેલ્ફી માટે નવીનને વિનંતી કરી.

નવીન પટનાયકે એક-એક કરીને દરેકની સાથે સસ્મિત સેલ્ફી લેવા દીધી.

નવીન પટનાયકને 51 વર્ષની ઉંમરે ઓડિશાનું શાસન વારસામાં મળ્યું હતું.

'મુશ્કેલી પડશે'

ઇમેજ સ્રોત, Ruben BanErjee

ઇમેજ કૅપ્શન,

નવીન પટનાયકે અમ્મા કૅન્ટીનની તર્જ ઉપર આહાર કેન્દ્રો શરૂ કર્યાં

પૂર્વ મુખ્ય પ્રધાન બીજુ પટનાયકના મોટાપુત્રને રાજકારણમાં રસ નથી અને તેઓ વેપાર કરે છે અને બહેન ગીતા મહેતા સાહિત્યજગતમાં વિખ્યાત નામ છે.

ઓડિશાના દરેક ખૂણામાં નાગરિકો પટનાયકને ઓળખે છે. ભૂવનેશ્વરથી અમુક કિલોમીટર દૂર અમારી મુલાકાત માનસ નામની વ્યક્તિ સાથે થઈ, જે ડ્રાઇવર તરીકે કામ કરીને આજીવિકા રળે છે.

માનસે અમને જણાવ્યું, "જ્યારે અમે નાના હતા ત્યારે કૉંગ્રેસનું જોર હતું, પરંતુ લાંબા સમયના કૉંગ્રેસી કાર્યકાળ દરમિયાન બરાબર રીતે વિકાસ થયો ન હતો અને લોકો ઉપર ધ્યાન પણ આપ્યું ન હતું."

"પછી લોકોએ બીજેડીને વોટ આપ્યાં અને નવીન પટનાયકની સરકાર આવી. પછી ભૂવનેશ્વર સહિત અને શહેર અને ગામડાંઓનો વિકાસ થયો અને માર્ગોનું નિર્માણ થયું."

મેં પૂછ્યું, "શું આ વવખતે પણ નવીન પટનાયકનું ઉત્કૃષ્ટ પ્રદર્શન યથાવત્ રહેશે?"

માનસે જવાબ આપ્યો, "આ વખતે મહેનત કરવી પડી રહી છે, કારણ કે ઓડિશામાં મોદીની ડિમાન્ડ વધી છે અને બીજેડીને આશંકા છે કે તેના વોટ ઘટશે."

આપને આ પણ વાચવું ગમશે

19 વર્ષથી શાસન

ઇમેજ સ્રોત, PTI

ઇમેજ કૅપ્શન,

કલિંગની ધરતી ઉપર મોદી અને પટનાયક વચ્ચે મુખ્ય જંગ

પોતાના 19 વર્ષના કાર્યકાળ દરમિયાન 17 વર્ષ સુધી પટનાયકે અલગ ઢબે રાજ કર્યું હતું. તેઓ પ્રજાની વચ્ચે હળવા મળવાનું, જનતાની વચ્ચે પ્રચાર કરવાનું તથા વાતચીત કરવાનું ખાસ પસંદ કરતા ન હતા.

લાંબા સમય સુધી ભૂવનેશ્વરમાં પટનાયકની દિનચર્યાને નજીકથી જોનારાઓના કહેવા પ્રમાણે:

"સાંજે સાત વાગ્યે બધું કામ પતાવીને પટનાયક ઘરે જતા રહેતા અને બીજા દિવસે સવાર સુધી તેમનું સામાજિક જીવન ખતમ થઈ જતું."

જોકે, હવે અલગ સ્થિતિ પ્રવર્તે છે. તેમના ઘર 'નવીન નિવાસ' ખાતે પાર્ટીના ટોચના નેતાઓની અવરજવર ચાલુ રહે છે અને બીજેડી ઓફિસે ખાસ હલચલ જોવા નથી મળતી, કારણ કે તમામ ઍક્શનનું કેન્દ્ર મુખ્ય મંત્રી નિવાસ જ હોય છે.

'નવીન' સ્વરૂપમાં પટનાયક

ઇમેજ સ્રોત, Twitter@Naveen_Odisha

ઇમેજ કૅપ્શન,

મહિલાઓને સેનિટરી નૅપ્કિન્સ વિતરણની યોજના લાગુ કરી

ગત એક વર્ષ દરમિયાન નવીન પટનાયકોએ લોકોને હળવા મળવાનું વધારી દીધું છે અને નજીકના લોકો જનમાનસમાં તેમની છાપ ઉપર કામ કરી રહ્યા છે.

ચાર વખત વિધાનસભા અને આ દરમિયાન લોકસભાની ચૂંટણીમાં પોતાનો સિક્કો જમાવનારા નવીન પટનાયકને આ બધું કરવાની જરૂર કેમ પડી?

બીજેડી સાથે છેડો ફાડ્યા બાદ હવે ભાજપે ઓડિશા ઉપર મીટ માંડી છે અને ત્યાં નવીન પટનાયક સામે મોરચો માંડ્યો છે.

વરિષ્ઠ પત્રકાર સંદીપ સાહૂના કહેવા પ્રમાણે, "વર્ષ 2017ની પંચાયતની ચૂંટણી દરમિયાન ભાજપને ખાસ્સી સફળતા મળી, ત્યારથી નવીન ગંભીર થયા અને તેમના સ્વભાવમાં આવેલું પરિવર્તન જોઈ શકાય છે."

પંચાયતની ચૂંટણીમાં મળેલો આંચકાજનક પારજય અને વર્તમાન સ્થિતિમાં ભાજપ તરફથી ઊભા થયેલા પડકારને કારણે પણ પરિવર્તન આવ્યું હોય તેમ લાગે છે.

વરિષ્ઠ પત્રકાર કસ્તૂરી રેને લાગે છે કે સત્તાવિરોધી વલણ બીજેડી સામે સૌથી મોટો પડકાર છે.

તાજેતરમાં મુખ્ય પ્રધાન નવીન પટનાયકે પણ આ વાત કહી હતી.

તેઓ દરરોજ અનેક સભાઓ કરી રહ્યા છે અને હજારો કિલોમીટરનો પ્રવાસ જમીનમાર્ગે ખેડ્યો છે. અગાઉ ક્યારેય આવું દૃશ્ય જોવા મળ્યું ન હતું.

વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપ તેનું પૂરેપૂરું ધ્યાન ઓડિશા ઉપર કેન્દ્રીત કરશે એવું નવીન પટનાયકના નજીકના સલાહકારોને છેલ્લા બે વર્ષથી લાગતું હતું.

કદાચ એટલે જ તેમણે ગત બે વર્ષ દરમિયાન અનેક 'કલ્યાણકારી યોજનાઓ' લાગુ કરી, જેણે તામિલનાડુના પૂર્વ મુખ્ય મંત્રી જયલલિતાની યાદ અપાવી.

'અમ્મા કૅન્ટીન'ની તર્જ ઉપર તેઓ ઓડિશામાં સરકારી 'આહાર કેન્દ્ર' ચલાવે છે, જ્યાં માત્ર પાંચ રૂપિયામાં વ્યક્તિને દાળ-ભાત જમાડવામાં આવે છે.

રાજ્યની મહિલાઓનાં અનેક સ્વસહાય જૂથો અસ્તિત્વમાં આવ્યાં અને સરકાર દ્વારા સેનિટરી નૅપ્કિન્સની સુવિધા આપવામાં આવી.

બીજેડીના ટિકિટ વિતરણમાં 33 ટકા મહિલાઓને ટિકિટ આપવાની જાહેરાત કરીને પટનાયકે તેમના હરીફોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા.

ખુદ નવીન પટનાયક પણ લક્ઝરી બસમાં પ્રચાર માટે નીકળી પડ્યા છે.

ગ્રામીણ વિસ્તારોમાં બીજેડી મતદાતા તાજેતરના પરિવર્તનથી ખુશ છે. અગાઉ પટનાયક હેલિકૉપ્ટરમાં આવતા અને પ્રચાર કરીને ભૂવનેશ્વર પરત ફરી જતા.

હવે, નવીનબાબુ બસની ઉપર ઊભા રહીને તેમનું અભિવાદન ઝીલે છે અને તેમના હાલચાલ પૂછી લે છે.

કસ્તૂરી રે કહે છે, 'મુખ્ય પ્રધાનને આશંકા છે કે આ વખતે ચૂંટણી મુશ્કેલ છે.'

કસ્તૂરી રહે કહે છે, "એક એવો સમય હતો કે જ્યારે બીજેડીના કોઈ નેતાની ઉપર ભ્રષ્ટાચારનો આરોપ લાગે તો તેને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવતો. પરંતુ ગત પાંચ વર્ષ દરમિયાન સ્થિતિ બદલી છે."

"ચીટફંડ કૌભાંડ, માઇનિંગ કૌભાંડ કે અન્ય કોઈ કૌભાંડમાંમાં નામ આવ્યું હોય છતાં પાર્ટીના ધારાસભ્ય કે સાંસદ ઉપર ઊની આંચ સુદ્ધા નથી આવી."

"વળી આ વખતે તેમનામાંથી અમુકને ટિકિટ પણ મળી છે."

ઇમેજ સ્રોત, Twitter@Naveen_Odisha

ઇમેજ કૅપ્શન,

આ વખતે કૌભાંડના આરોપી અનેક ધારાસભ્યો અને સાંસદોને ટિકિટ મળી

નવીન સરકારના આંકડાઓ ઉપર વિપક્ષ વાર કરે છે.

નૅશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરો (એનસીઆરબી)ના 2016ના ડેટા પ્રમાણે, 'ડિસરોબિંગ ઑફ વુમન'માં મહિલાઓ સામેના અત્યાચારમાં ઓડિશા ટોચ ઉપર હતું.

જોકે, બીજુ જનતાદળના કેન્દ્રીય નેતૃત્વએ હંમેશા આ વાતને નકારી છે અને ગત 20 વર્ષ દરમિયાન થયેલા વિકાસના કામોની વાત કહે છે.

બીજેડીના પ્રવક્તા સસ્મિત પાત્રાના કહેવા પ્રમાણે, "બીજુ બાબુ ઓડિશાને આગળ લઈ જવાનું સ્વપ્ન સેવતા, જેને નવીન બાબુએ સાકાર કર્યું છે."

નવીન પટનાયક વિરુદ્ધ નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, ANI

સસ્મિત પાત્રાના કહેવા પ્રમાણે, "ગત 9 વર્ષ દરમિયાન અમે વિકાસના જે કામો કર્યા છે, તેના આધારે લોકોની વચ્ચે જઈને અમે મત માગી રહ્યા છીએ." મહાત

"યુવા, મહિલા, કે ખેડૂત દરેકને માટે નવીન પટનાયકની સરકારે કામો કર્યા છે. દરેકને માટે યોજનાઓ બનાવી છે, જેનાથી રાજ્યની જનતાને લાભ મળ્યો છે."

લોકોને કેટલી મદદ મળી છે અને લોકો કયા આધાર ઉપર મત આપશે, તે અંગે માત્ર અટકળો જ લગાવી શકાય, પરંતુ વાસ્તવિક્તા એ છે કે નવીન પટનાયકે તેમની રાજકીય કારકિર્દીનો સૌથી કપરો ચૂંટણી પ્રચાર કરવો પડી રહ્યો છે.

મૂળ વાત એ જ છે કે કલિંગની ધરતી ઉપર ફરી બે મહારથી વચ્ચે ટક્કર થશે, એક તરફ છે ભાજપના નરેન્દ્ર મોદી, તો બીજી તરફ બીજેડીના નવીન પટનાયક.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો