શ્રીલંકા બૉમ્બ બ્લાસ્ટમાં મૃત્યુઆંક 321 પહોંચ્યો, સમગ્ર દેશમાં શોક

શ્રીલંકામાં થયેલા શ્રેણીબદ્ધ બૉમ્બ બ્લાસ્ટમાં કુલ મૃત્યુઆંક 321 થઈ ગયો છે જ્યારે 500 લોકો ઘાયલ થયા છે. શ્રીલંકામાં થયેલા શ્રેણીબદ્ધ બૉમ્બ વિસ્ફોટની જવાબદારી ઉગ્રવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ યાને કે આઇએસએ લીધી છે.
ન્યૂઝીલૅન્ડના ક્રાઇસ્ટચર્ચમાં મસ્જિદ પર થયેલા હુમલાના પ્રતિભાવ તરીકે આ હુમલાઓ કરવામાં આવ્યા હોવાનું સરકારે કહ્યું છે.
બ્લાસ્ટમાં જીવ ગુમાવનારાઓના સામૂહિક અંતિમસંસ્કાર કરવામાં આવ્યા.
સમગ્ર દેશમાં ત્રણ મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું. તેમજ અણબનાવ ન બને એટલા માટે કટોકટી લાદી દેવામાં આવી છે.
બ્લાસ્ટના ત્રણ દિવસ બાદ ઉગ્રવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટે હુમલાની જવાબદારી લીધી છે.
ઇસ્લામિક સ્ટેટના ન્યૂઝ પોર્ટલ 'અમાક'માં દાવો કરાયો છે, "પરમદિવસે જે હુમલાખોરોએ (ઇસ્લામિક સ્ટેટ વિરોધી, અમેરિકા નીતિ ગઠબંધન) શ્રીલંકાના નાગરિકો અને ઈસાઈઓને નિશાન બનાવ્યા હતા તે ઇસ્લામિક સ્ટેટના લડાકુ હતા."
ઉલ્લેખનીય છે કે આઈએસ જ્યારે પણ કોઈ હુમલાની જવાબદારી સ્વીકારે તો તેઓ થોડી જ કલાકોમાં 'અમાક' મારફતે હુમલાખોરોની તસવીરો જાહેર કરી દે છે.
જોકે, બીબીસી સ્વતંત્ર રીતે ઇસ્લામિક સ્ટેટના આ દાવાની ખરાઈ કરતું નથી.
યુનિસેફના પ્રવક્તા ક્રિસ્ટોફે બોલીરેકનો હવાલો આપી સમાચાર એજન્સી રોઇટર્સે જણાવ્યું કે શ્રીલંકાના બૉમ્બ બ્લાસ્ટના મૃતકોમાં 45 બાળકો પણ છે.
મંગળવારના રોજ કોલંબો સ્થિત બીબીસી તમિલના સંવાદદાતાએ પોલીસના હવાલાથી જણાવ્યું કે વિસ્ફોટકથી ભરેલી એક લારી અને ટ્રક શહેરમાં દાખલ થયાં છે.
કોલંબોની જનતા અને તમામ પોલીસ સ્ટેશનને ઍલર્ટ કરી દેવામાં આવ્યાં છે.
બૉમ્બ બ્લાસ્ટ મુદ્દે તપાસમાં જાણવા મળ્યું કે બ્લાસ્ટ અંગે અગાઉથી જ ચેતવણી આપવામાં આવી હતી પરંતુ સરકાર તરફથી કોઈ પગલાં ન લેવાતાં હોબાળો મચ્યો છે.
તપાસ એજન્સી ઘણા સમયથી તૌહીદ જમાત જેહાદી સંગઠનની હિલચાલ પર નજર રાખી રહ્યું હતું અને આવા હુમલા અંગે પોલીસને આશંકા પણ વ્યક્ત કરી હતી.
રાષ્ટ્રપતિ સિરીસેનાના સલાહકાર શિરાલ લકથિલાકાએ બીબીસીને કહ્યું કે સરકાર તરફથી કોઈ ચૂક થઈ છે કે નહીં તે અંગે જાણ થશે.
આ પહેલાં શ્રીલંકાના એક વરિષ્ઠ મંત્રી રજિત સેનારત્નેએ કોલંબો ખાતે પત્રકારોને કહ્યું કે આંતરરાષ્ટ્રીય જાસૂસી એજન્સીએ આવા હુમલા અંગે અગાઉથી સચેત કર્યા હતા પરંતુ આ સૂચના વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘે સુધી પહોંચી નહોતી.
ઇમેજ સ્રોત, Getty Images
પોલીસ અનુસાર 40 લોકોની ધરપકડ કરવામાં આવી છે પરંતુ હુમલા પાછળ કોનો હાથ છે એ બહાર નથી આવી શક્યું.
ધરપકડ કરાયેલા માત્ર નવ લોકોને કોર્ટમાં હાજર કરાયા હતા, જેઓ વેલ્લમપટ્ટીની એક ફેક્ટરીમાં કામ કરતા હતા.
અધિકારીઓનું કહેવું છે કે આ વિસ્ફોટો કોઈ આંતરરાષ્ટ્રીય નેટવર્કની મદદથી કરાવવામાં આવ્યા છે.
સરકારે આ અંગે સ્થાનિક ઉગ્રવાદી સંગઠન નેશનલ તૌહીદ જમાતનું નામ લીધું છે.
અગાઉ આજે શ્રીલંકાના કોલંબોમાં એક ચર્ચની બહાર વધુ એક બૉમ્બ વિસ્ફોટ થયો છે.
સૅન્ટ એન્થની ચર્ચની બહાર એક શંકાસ્પદ વાનમાં આ વિસ્ફોટ થયો હોવાની માહિતી મળી છે.
વિસ્ફોટ પછી લોકો દહેશતમાં ભાગતા જોવા મળ્યા. રવિવારે થયેલા બૉમ્બ વિસ્ફોટમાં આ જ ચર્ચને નિશાન બનાવવામાં આવ્યું હતું.
સત્તાધિકારીઓએ ઘટનાસ્થળ નજીક હાજર બીબીસી તમિલ સેવાના કન્ટ્રિબ્યૂટરને બૉમ્બ ડિફ્યૂઝ કરનારી ટીમે જ આ બ્લાસ્ટ કર્યો હોવાની માહિતી આપી છે.
બીબીસી સિંહાલા સેવાના પત્રકાર આઝમ અમીને પણ આ વિશે માહિતી આપી છે. તેમણે કહ્યું કે હુમલાખોરો દ્વારા વપરાશમાં લેવામાં આવેલું વાહન ફૂંકી માર્યું હોવાનું પોલીસ જણાવે છે.
શ્રીલંકામાં અત્યાર સુધી થયેલા આઠ બૉમ્બ બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 310 લોકોનાં મોત થયાં છે અને લગભગ 500 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં 31 વિદેશી નાગરિકો પણ સામેલ છે. શ્રીલંકામાં આને પગલે રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરવામાં આવી છે. આ કટોકટી આજે રાતથી લાગુ થશે.
કાર્યાલયે એમ પણ કહ્યું કે કટોકટીનો હેતુ લોકોની અભિવ્યકિતને મર્યાદિત કરવાનો નહીં પરંતુ ઉગ્રવાદને નિશાન બનાવાનો છે. કાલે શ્રીલંકામાં રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.
આ દરમિયાન કોલંબોથી બીબીસી સિંહાલા સેવાના પત્રકાર આઝમ અમીને જાણકારી આપી છે કે પોલીસે માવાથા ખાનગી બસ મથકના એક બુરજમાંથી 87 ઓછી વિનાશ ક્ષમતા ધરાવતા ડેટોનેટર્સ મળી આવ્યા છે.
શ્રીલંકા અત્યાર સુધીની માહિતી
- અત્યાર સુધી આઠ બૉમ્બ બ્લાસ્ટ થયા
- બ્લાસ્ટમાં હોટલ અને ચર્ચને નિશાન બનાવાયાં
- 321 લોકોનાં મોત, 500 ઘાયલ
- 40 શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ
- ત્રણ ચર્ચમાં ઇસ્ટરની પ્રાર્થના દરમિયાન બ્લાસ્ટ
- કોલંબોમાં ચાર હોટલ અને એક પ્રાણીસંગ્રહાલય પાસે બ્લાસ્ટ
- કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી
- સરકારે કહ્યું કે આત્મઘાતી હુમલો, વિદેશમાં રચવામાં આવ્યું કાવતરું
- સમગ્ર દેશમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો
આ મામલામાં અત્યાર સુધી 40 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ધરપકડ કરાયેલા તમામ શ્રીલંકાના નાગરિકો છે. આ લોકોના કોઈ આંતરરાષ્ટ્રીય સંગઠન સાથે સંપર્કો છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.
હુમલા બાદ સમગ્ર શ્રીલંકામાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે અને સોશિયલ મીડિયા પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
શ્રીલંકાના સંરક્ષણમંત્રી આર. વિજયવર્ધનનું કહેવું છે, "આ આત્મઘાતી હુમલો છે. ગુપ્તચર સંસ્થાઓએ હુમલા વિશે સૂચિત કર્યા હતા. જોકે, તેને રોકી શકીએ તે પહેલાં જ બ્લાસ્ટ થઈ ગયા હતા."
કોણ છે હુમલાખોર?
ઇમેજ સ્રોત, EPA
આ હુમલો કોણે કર્યો છે તેને લઈને કોઈ સ્પષ્ટ જાણકારી સામે આવી નથી. ધરપકડ કરાયેલા લોકો વિશે પણ કોઈ જાણકારી જાહેર કરવામાં આવી નથી.
શ્રીલંકાના દૂરસંચારમંત્રી હરિન ફર્નાન્ડોએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે સરકાર પાસે આજે થયેલા હુમલાઓ અંગે ગુપ્ત માહિતી હતી.
તેમણે કહ્યું, "આ ગુપ્ત માહિતી અંગે વડા પ્રધાનને જાણ કરવામાં આવી ન હતી. કૅબિનેટમાં એવા સવાલો પણ ઊઠ્યા હતા કે આ રિપોર્ટને કેમ ગંભીરતાથી લેવામાં આવ્યો ન હતો."
તેમણે કહ્યું, "ગુપ્તચર સંસ્થાઓના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ચાર પ્રકારના હુમલાઓ થઈ શકે છે."
"આત્મઘાતી બૉમ્બ વિસ્ફોટ થઈ શકે છે, હથિયારો દ્વારા હુમલો થઈ શકે છે, ચાકુ દ્વારા હુમલો થઈ શકે છે અથવા વિસ્ફોટકોથી ભરેલા ટ્રક દ્વારા હુમલો થઈ શકે છે."
"આ રિપોર્ટમાં કેટલીક શંકાસ્પદ વ્યક્તિઓનાં નામોનો પણ ઉલ્લેખ છે. તેમના ટેલિફોન નંબર પણ રિપોર્ટમાં આપવામાં આવ્યા છે."
"એ નવાઈ પમાડે તેવી વાત છે કે ગુપ્તચર સંસ્થાઓ પાસે આ રિપોર્ટ હતો પરંતુ કૅબિનેટ કે વડા પ્રધાનને જાણ ન હતી."
ફર્નાન્ડોએ કહ્યું, "આ રિપોર્ટ એક દસ્તાવેજ છે અને આ દસ્તાવેજ હવે અમારી પાસે છે. આ રિપોર્ટમાં કેટલાંક નામોનો પણ ઉલ્લેખ છે. તેમાં કેટલાંક સંગઠનોનાં નામો પણ છે."
"હાલ તપાસ યોગ્ય દિશામાં ચાલી રહી છે અને અમે એ લોકો સુધી પહોંચી જઈશું જે લોકો આ હુમલામાં સામેલ છે."
બ્લાસ્ટ થવાનો ડર
ઇમેજ સ્રોત, Reuters
લોકોમાં એ વાતનો ડર છે કે આવનારા દિવસોમાં પણ આવા હુમલાઓ થઈ શકે છે.
શ્રીલંકામાં અત્યાર સુધી કુલ આઠ બ્લાસ્ટ થઈ ચૂક્યા છે. ઇસ્ટર સન્ડેના રોજ ચર્ચ અને હોટલોને નિશાન બનાવાયાં હતાં.
આઠમા વિસ્ફોટમાં ત્રણ પોલીસ અધિકારીઓ પણ માર્યા ગયા હતા. આ વિસ્ફોટ ત્યારે થયો હતો જ્યારે પોલીસ અધિકારીઓ કોલંબોના એક ઘરની તલાશી લઈ રહ્યા હતા.
અત્યાર સુધી એ વાતની જાણકારી મળી શકી નથી કે આ વિસ્ફોટ બૉમ્બ નિષ્ક્રિય કરવાની કોશિશ દરમિયાન થયો હતો કે નહીં.
31 વિદેશી નાગરિકોનાં મોત
ઇમેજ સ્રોત, AFP
વિસ્ફોટોમાં 31 વિદેશી નાગરિકો માર્યા ગયા છે અને કેટલાક ઘાયલ થયા છે.
ઇસ્ટર સન્ડે ખ્રિસ્તીઓમાં એક મોટા તહેવાર તરીકે મનાવાય છે. આ દિવસે ચર્ચમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો પ્રાર્થના માટે આવે છે.
સૅન્ટ એન્ટોની અને અન્ય ચર્ચોમાં હજારો લોકો ઇસ્ટરની પ્રાર્થના માટે એકત્રિત થયા હતા.
એક પ્રત્યક્ષદર્શીએ બીબીસી સિંહાલાને જણાવ્યું કે વિસ્ફોટ બાદ તેમણે ઘણા મૃતદેહોને એકબીજા પર પડેલા જોયા હતા.
'ટાયર ફાટવા જેવો અવાજ આવ્યો'
ઇમેજ સ્રોત, Getty Images
ઘટનાના એક પ્રત્યક્ષદર્શી રોશને બીબીસી તમિલ સેવાને જણાવ્યું, "હું મારા ઘરમાં હતો ત્યારે મેં ટાયર ફાટવા જેવો અવાજ સાંભળ્યો. ઘરની બહાર નીકળ્યો તો મેં ધુમાડો જોયો."
તેમણે કહ્યું, "અમે બે ત્રણ જીવતા બચેલા લોકોને હૉસ્પિટલ મોકલ્યા હતા. હું ગયો હતો અને ત્યાં અંદાજે 100 જેટલા મૃતદેહો પડ્યા હતા."
શ્રીલંકામાં જ્યારથી ગૃહયુદ્ધ સમાપ્ત થયું છે, નાની-મોટી હિંસાઓની ઘટનાઓ ઘટતી રહે છે.
સિંહલા બૌદ્ધ મસ્જિદો અને મુસલમાનોની સંપત્તિને બહુમતી ધરાવતો વર્ગ નિશાન બનાવતા રહે છે. જેના કારણે માર્ચ 2018માં અહીં ઇમર્જન્સીની જાહેરાત કરવી પડી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો