BBC TOP NEWS: નાસાએ મંગળની ધરતી પર પ્રથમ વખત ધરતીકંપ નોંધ્યો

ઇમેજ સ્રોત, NASA/JPL
આ સેન્સર ફાન્સ અને યૂકેમાં તૈયાર કરવામાં આવ્યું હતું.
અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ મંગળ પર મોકલેલા ઇનસાઇટે પ્રથમ વખત કોઈ ભૂંકપ જેવી ઘટના નોંધી છે.
સેન્સર દ્વારા 6 એપ્રિલના રોજ માર્સક્વેકનું પ્રથમ સિગ્નલ નોંધવામાં આવ્યું હતું.
વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ 'માર્સક્વેક' ગ્રહના પેટાળમાં રહેલી તિરાડો અથવા ઉલ્કાપાતને કારણે થયો હોઈ શકે.
ગયા વર્ષે નવેમ્બર મહિનામાં સ્પેસક્રાફ્ટ ઇનસાઇટ મંગળની સપાટી પર ઊતર્યું હતું.
મંગળની સપાટીનું ચિત્ર વધુ સ્પષ્ટ કરવા માટે તેમાં વિવિધ માર્સક્વેકની નોંધ લેવાશે.
જેના પરથી પૃથ્વી અને મંગળનાં પેટાળનાં સ્તરો વિશે સરખામણી અને અભ્યાસ થઈ શકશે.
સંશોધકો આ કંપનને ચંદ્ર પરના કંપન જેવું જ ગણાવે છે.

સની દેઓલ, કિરન ખેરને ટિકિટ

ઇમેજ સ્રોત, FB @BJP4INDIA
ભારતીય જનતા પાર્ટીએ મંગળવારે પંજાબના ગુરદાસપુર લોકસભા બેઠક પરથી ફિલ્મસ્ટાર સની દેઓલને ઉમેદવાર જાહેર કર્યા છે. સની દેઓલ મંગલવારે જ ભાજપમાં જોડાયા હતા.
ગુરદાસપુરથી પૂર્વ ફિલ્મ અભિનેતા વિનોદ ખન્ના પણ ભાજપના સાંસદ રહી ચૂક્યા છે.
તે ઉપરાંત ચંદીગઢની બેઠક પરથી વર્તમાન સાંસદ કિરન ખેરને ટિકિટ આપવામાં આવી છે.
જ્યારે દિલ્હીની ઉત્તર-પશ્ચિમ બેઠક પરથી ઉદિત રાજના બદલે સૂફી ગાયક હંસરાજ હંસને ટિકિટ આપવામાં આવી છે.
હંસરાજ આ પહેલાં શિરોમણિ અકાલી દળમાં હતા, બાદમાં તેઓ કૉંગ્રેસમાં જોડાયા અને 2016ના અંતમાં ફરી તેઓ ભાજપમાં જોડાયા હતા.

તમે આ વાંચ્યું કે નહીં?


વર્લ્ડ કપમાં પાક. સામે ભારત હારશે : સરફરાઝ

ઇમેજ સ્રોત, SARFARAZ AHMED TWITTER
મે-જૂન 2019માં ઇંગ્લૅન્ડમાં યોજાનારા ક્રિકેટ વર્લ્ડ કપને પાકિસ્તાન ક્રિકેટ ટીમના કૅપ્ટન સરફરાઝ અહમદે કહ્યું છે કે પાકિસ્તાન સામે ભારત હારી જશે.
તે પહેલાં યોજાયેલી પત્રકાર પરિષદમાં સરફરાઝે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે વર્લ્ડ કપમાં ભારત સામે પાકિસ્તાનનું પલ્લું ભારે રહેશે.
તેમણે કહ્યું કે 2017ની આઈસીસી ચૅમ્પિયન ટ્રૉફીમાં પાકિસ્તાન સામે ભારતની હાર થઈ હતી. જેથી પાકિસ્તાનનો હાથ ઉપર રહેશે.
ઉપરાંત સરફરાઝે કહ્યું કે ભારતની ટીમનો સામનો પણ તેઓ અન્ય ટીમોની જેમ જ કરશે.
16 જૂનના રોજ ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનારી મૅચ સંદર્ભે સરફરાઝે કહ્યું કે અમે દરેક મૅચ એવી રીતે રમીશું જાણે અમે ભારત વિરુદ્ધ રમી રહ્યા હોઈએ.




મ્યાનમારના ભૂસ્ખલનમાં 54 ખાણ-કામદારો દટાયા હોવાની શક્યતા

ઇમેજ સ્રોત, AFP
ભૂસ્ખલનના કારણે રચાયેલા કાદવના તળાવ પાસેથી પસાર થતા સ્થાનિકો
ઉત્તર મ્યાનમારમાં થયેલા ભૂસ્ખલનમાં ખાણમાં કામ કરતા 54 કામદારો સૂતેલી હાલતમાં દટાયા હોવાની શક્યતા છે.
સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર કાચીન વિસ્તારમાં થયેલું આ ભૂસ્ખલન એટલું મોટું હતું કે તેનાથી કાદવનું તળાવ બની ગયું છે.
તેમાં ખાણની બાજુના ક્વાર્ટર્સમાં રહેતા 54 કામદારો અને તેમનાં 40 જેટલાં વાહનો દટાઈ ગયાં હોવાની શક્યતા છે.
સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર તેમને બચાવવા બહુ મુશ્કેલ હતા, તેમાંથી માત્ર ત્રણના મૃતદેહ મળ્યા છે.
જ્યારે સ્થાનિક વકીલ ટીન સોએ જણાવ્યું કે, તેમની બચવવાની શક્યતા નથી, કારણ કે તેઓ કાદવ નીચે દટાઈ ગયા છે.
મ્યાનમારમાં આ પ્રકારની ખનન પ્રવૃત્તિ અને નીતિનિયમોની ખામીના કારણે દર વર્ષે એક ડઝનથી વધુ લોકો પોતાના જીવ ગુમાવે છે.

આપને આ પણ વાંચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો